![]()
Surat : સુરત શહેરમાં હાલ દશામાના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ગણેશોત્સવ માટે પણ તડામાર તૈયારી થઈ રહી છે. સુરતીઓ બન્ને તહેવારની ઉજવણી માટે થનગની રહ્યા છે પરંતુ સુરત શહેરના બિસ્માર રસ્તા દશામા વિસર્જન અને ગણેશ આગમન યાત્રા માટે વિલન બને તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. શહેરના ખાબડ ખૂબડ રસ્તા પર દશામાં વિસર્જન યાત્રા કે ગણેશ આગમન યાત્રામાં આયોજકોની નાની ભુલ પ્રતિમા વિસર્જનું કારણ બની શકે છે તેથી આ રસ્તા તાત્કાલિક રીપેર થાય તેવી ભક્તો માંગણી કરી રહ્યાં છે.
સુરત શહેરમાં ચોમાસા સાથે રસ્તાની મોકાણ શરૂ થઈ જાય છે પાલિકા ખાડાની ગણતરી કરે છે અને રસ્તા રીપેર કરવાનો દાવો પણ કરે છે. પાલિકા મોટી માત્રામાં મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તા રીપેર કરે છે પરંતુ ફરી વરસાદ પડે છે એટલે શહેરમાં નવી જગ્યાએ રસ્તા તુટી જાય છે અને ખાડાઓ જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો એટલા મોટા ખાડા છે કે, મોટા વાહનોને પણ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત આ મોટા ખાડામાં તો ટુ વ્હીલર ફસાઈ તો અકસ્માત થઈ રહ્યાં છે.
સુરતના અનેક રસ્તા ખાબડ ખૂબડ બની ગયાં છે આવી સ્થિતિમાં હાલ દશામાં વિસર્જનની ઉજવણી થશે. ત્યારે આગામી દિવસોમાં ગણેશ આગમનનો તહેવાર પણ આવશે. સુરતમાં ગણેશ આગમન ભારે ધામધુમથી ઉજવણી થાય છે. પરંતુ આ તહેવારની ઉજવણીમાં સુરતના તુટેલા રસ્તાઓ વિલન બની શકે છે. સુરતના ખાડાવાળા રસ્તા પર દશામાં વિસર્જન યાત્રા કે ગણેશ શોભાયાત્રા નીકળશે તો આયોજકોની નાની સરખી ભૂલ પણ પ્રતિમા ખંડિત કરવા માટે કારણભૂત બની શકે છે. આવા રસ્તા તહેવારની ઉજવણી માટે આફતરૂપ બની શકે તેથી આ રસ્તા તાત્કાલિક રીપેર કરવા માટેની માગણી ભક્તો કરી રહ્યાં છે.









