![]()
Corruption in Surat: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વારંવાર કાર્યવાહી કરે છે, અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે, છતાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ લાંચના કેસમાં ઝડપાયા છે અને એક નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધાયો છે. આટલી મોટી સંખ્યામાં દરોડા પડવા છતાં પાલિકાના તંત્રમાં કાયદાનો કોઈ ભય જોવા મળતો નથી.
કયા વિભાગો ભ્રષ્ટાચારના મુખ્ય કેન્દ્ર?
સુરતમાં ભ્રષ્ટાચારના મોટા ભાગના કિસ્સાઓ ગેરકાયદે બાંધકામ અને આકારણી વિભાગ સાથે જોડાયેલા હોવાનું જોવા મળે છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કાગળ પર કાર્યવાહી થતી હોવા છતાં આવા બાંધકામો વર્ષો સુધી કેમ ચાલુ રહે છે તે સવાલ વારંવાર ઊભો થાય છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવા અને વિવિધ સરકારી મંજૂરીઓ માટે પણ ચોક્કસ ટકાવારી (કમિશન) ચાલતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે.
સજાનો અભાવ લાંચિયાઓ માટે આશીર્વાદ
ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ એસીબીની ઝપેટમાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ એક પણ કેસમાં દાખલારૂપ સજા થઈ નથી. કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી ઘણા આરોપીઓ જામીન પર મુક્ત થઈને બહાર ફરે છે. પરિણામે, ભ્રષ્ટાચાર સામેનો ભય સતત ઘટી રહ્યો છે. લાંચ લેતા અધિકારીઓ ઝડપાય છે, ફોટા છપાય છે, થોડા દિવસ ચર્ચા થાય છે અને પછી બધું ફરી પહેલાં જેવું થઈ જાય છે.
અધિકારીઓ જ નહીં, વિપક્ષના બે કોર્પોરેટર પણ જેલવાસ ભોગવી ચૂક્યા છે!
સુરત પાલિકામાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ પણ લાંચના ચક્રો ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગત ટર્મમાં પાલિકાના વિપક્ષ (આપ)ના બે કોર્પોરેટરો લાંચ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે.
સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી પાલિકાના બે અધિકારીઓની હાજરીમાં 11 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ થતાં તપાસ દરમિયાન તત્કાલીન કોર્પોરેટર જીતુભાઈ કાછડીયા અને વિપુલભાઈ સુહાગિયા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલિન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેની સંડોવણી અંગે પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
એસીબીના હાથે ઝડપાયેલા 28 કર્મચારીઓની યાદી
સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે દર વર્ષે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે, ત્યારે આ દૂષણ અટકતું કેમ નથી? શું માત્ર એસીબીના દરોડા પૂરતા છે? જો તંત્ર હવે પણ કડક ખાતાકીય પગલાં અને સમયસર સજા અપાવવામાં નિષ્ફળ રહેશે, તો ભ્રષ્ટાચારનું આ જાળું વધુ મજબૂત બનશે અને તેની સૌથી મોટી કિંમત સુરતના સામાન્ય નાગરિકોએ ટેક્સ અને લાંચ આપીને ચૂકવવી પડશે.










