![]()
Surat Food Safety : સ્વાદ માટે વિશ્વમાં પ્રખ્યાત છે તેવા સુરતના સ્વાદને બનાવટી ખાદ્ય પદાર્થનું ગ્રહણ લાગ્યું છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રહી છે તેથી સુરતના સ્વાદ સામે પ્રશ્નો ઉભા થયા છે. સુરત અને ગુજરાતમાં ખોરાકના ભેળસેળના કાયદા નબળા છે તેના કારણે મિલાવટ કરનારા બેફામ બની રહ્યા છે. સુરતમાં રોજ એક હજાર કિલો જેટલું નકલી પનીર વેચાતું હોવાનું બહાર આવ્યું છે. જો આ બનાવટી પનીર બનાવનાર સામે કેસ ચાલે તો પણ ત્રણેક લાખ રૂપિયાનો મહત્તમ દંડ થઈ શકે તેવી જોગવાઈ છે. કરોડો રૂપિયાનું નકલી પનીર બનાવી લોકોને પધરાવનારાને થતો દંડ એક દિવસના નફા કરતા પણ ઓછો હોવાથી હવે ખાદ્ય પદાર્થમાં ભેળસેળીયા બેફામ બન્યા છે.
સિલ્ક સીટી અને ડાયમંડ સીટી તરીકે વિશ્વમાં ઓળખાતું સુરત હવે ડુપ્લીકેશનનું હબ બની રહ્યું છે. અન્ય વસ્તુ સાથે છેલ્લા કેટલાક વખતથી બનાવટી ઘી, દૂધ, મસાલા અને પનીર જેવી સંખ્યાબંધ ખાદ્ય સામગ્રી બનાવટી ભેળસેળીયા બની રહી છે. સુરતની સુરતી ડેરીમાંથી રોજ એક હજાર કિલો પનીરનું વેચાણ થતું હતું તે પનીર નહી પણ પનીર એનાલોગ વેચાણમાં આવતું હતું. વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, એસીટીક એસિડ તથા હલકી ગુણવત્તાના દૂધમાંથી આ પનીર બનાવી વેચાતું હતું.
જાણકારોના મત મુજબ આ બનાવટી પનીરને પનીર એનાલોગ નામ આપી દેવામા આવ્યું છે તેથી છટકબારી છે. આવા પ્રકારનું પનીરનું વેચાણ થાય તે લોકોના આરોગ્ય સામે તો જોખમ છે પરંતુ તેની સામે કેસ સાબિત થાય તો પણ ત્રણેક લાખનો મહત્તમ દંડ છે જે બનાવટી પનીર વેચનારાના એક દિવસના નફા કરતા પણ ઓછો છે. આ ધંધામાં જોખમ નાનું હોય અને કમાણી મોટી હોવાથી હવે ભેળસેળીયા બેફામ બન્યા છે.
છેલ્લા કેટલાક વખતથી ખાદ્ય પદાર્થમાં બેફામ ભેળસેળ હોવાથી ભેળસેળીયાને બચાવતા કાયદા કોના હિતમાં છે? તેવું સુરતીઓ પુછી રહ્યાં છે અને આવા ભેળસેળીયા સામે કડક કાયદો લાવવામા આવે તેવી માંગણી કરી રહ્યાં છે.
વરાછાના ભાજપના ધારાસભ્યએ થોડા સમય પહેલાં ભેળસેળીયા સામે કડક કાયદો બનાવવા સરકારને પત્ર લખ્યો હતો
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અને નકલી દવાના કેસ બનતા વરાછા રોડ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી અને સરકારને પત્ર લખીને કડક કાર્યવાહી માટે પત્ર લખ્યો હતો.
ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું હતું કે, સુરત સહિત રાજ્યમાં નકલી દવા બનાવી-વેચી ખાદ્ય પદાર્થો નકલી બનાવી. ભેળસેળ કરી ધંધો કરનારા લોકો, લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈ પણ ડર-ભય વગર બેફામ લોકોને મારી રહ્યા છે. નકલી દવા બનાવનારા કે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા સામે કોઈપણ કડક કાર્યવાહી થતી નથી. તેથી આવા લોકો બેફામ બની ગયા છે. તેને ડામવા અત્યંત જરૂરી છે.ભેળસેળ કરી કે નકલી દવા બનાવારા મોટી સંખ્યામાં લોકોને ખતરો પહોંચાડી રહ્યા છે ત્યારે આવા લોકોને ડામવા કજક કાયદો બનાવવો જરૂરી છે.









