સુરત શહેરમાં આવેલા શ્રીકૃષ્ણ ભગવાનના મંદિર અને અન્ય મંદિરો સાથે સાથે સુરતના હજારો ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી. આ દિવસે સુરત સુરત બન્યું કૃષ્ણમય બની ગયું હતું મંદિર અને ઘરમાં વિવિધ થીમ પર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના દિવસે શહેરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ મહિનાની શરુઆત સાથે જ ઉત્સવોની હારમાળા સર્જાય છે અને સુરતીઓ દરેક ઉત્સવની દબદબાભેર ઉજવણી કરે છે. તેમાં પણ જન્માષ્ટમીના દિવસે તો આખું શહેર જાણે ગોકુળ હોય તેવી રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ઉપરાંત સુરતના પૌરાણિક કૃષ્ણ મંદિર સહિત અને મંદિરોમાં સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. સુરત જાણે કૃષ્ણમય બની ગયું હોય તેવી રીતે સુરતીઓ જન્માષ્ટમીની ઉજવણી માં લીન બની ગયા હતા. શહેરના મંદિરોમાં કૃષ્ણ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

ભગવાનના મંદિર ઉપરાંત સુરતના હજારો ઘર- રહેણાંક સોસાયટીમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભારે દબદબાભેર કરવામાં આવી હતી. જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હોવાથી અનેક ઘરોમાં તિરંગા થીમ પર જન્માષ્ટમીનું ડેકોરેશન જોવા મળ્યું હતું. જ્યારે અન્ય ઘરમાં વિવિધ થીમ પર ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત ઘર અને સોસાયટીઓમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નારા ગુંજી ઉઠ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા સાથે શુઠ પંજરી અને વિવિધ મીઠાઈ ના પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવ્યા હતા
સુરત શહેરના વિવિધ સંગઠનો દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ મટકી બાંધવામાં આવી હતી અને તે મટકી ગોવિંદા મંડળ અથવા સોસાયટીના રહીશોએ ફોડીને ઉત્સવ મનાવ્યો હતો.










