![]()
Surat : સુરત મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં સંકલનના અભાવે મંજુર થયેલા પ્રોજેક્ટ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સુરત મહાનગરપાલિકાના નવા પૂર્વ ઝોન એટલે કે સરથાણા વિસ્તારમાં ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાન બનાવવાના પ્રોજેક્ટમાં ફરી એકવાર સ્થળ ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
ગત નવેમ્બર માસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી પર ઉત્રાણ અમરોલી વચ્ચે બ્રિજનું આયોજન જાહેર કર્યું છે તેની સામે સ્થાનિકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. આ બ્રિજની કામગીરી સામે એક તરફ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આ બ્રિજના નિર્માણ માટે વરાછા ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ ટી.પી. સ્કીમ નંબર 27 ના પ્લોટ નંબર 188 પર મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના સ્થાનિક રહીશોએ શેલ્ટર હોમની કામગીરીનો વિરોધ કરતા કામ બંધ કરાયું હતું.
આ પહેલાં2.88 કરોડના ખર્ચે શેલ્ટર હોમ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કામગીરી સોંપી દીધી હતી. પરંતુ પાલિકાના બ્રિજ વિભાગે સુચિત બ્રિજ માટે શેલ્ટર હોમ નડતરરૂપ બને તે માટે આ કામગીરી અટકાવવા માટેની સુચના આપી હતી. તેના કારણે શેલ્ટર હોમની કામગીરી સ્થગિત થઈ હતી.
તો વારંવાર આવતા અવરોધોને કારણે હવે વહીવટી તંત્ર દ્વારા આ શેલ્ટર હોમને ટી.પી. સ્કીમ નંબર 73 ઉત્રાણના પ્લોટ નંબર 6-બી પર આવેલા હેલ્થ સેન્ટરના કેમ્પસમાં ખસેડવા માટે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે. જેના કારણે હવે આ નવી જગ્યા રેલ્વે સ્ટેશનથી માત્ર 800 મીટરના અંતરે આવેલી હોવાથી જરૂરિયાતમંદ લોકોને વધુ લાભ મળી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જે માટેની આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર નિર્ણય થશે.










