![]()
Surat Corporation : સુરત શહેરમાં હજારોની સંખ્યામાં નળ જોડાણ ભુતિયા છે તેવી જ રીતે હજારોની સંખ્યામાં ડ્રેનેજ જોડાણ પણ ભુતિયા (ગેરકાયદેસર) છે. આ ગેરકાયદે જોડાણના કારણે પાલિકા વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલાં પાલિકાએ અડધી રકમ ભરીને ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાયદેસર કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલીક વિસંગતતા હોવાના કારણે આ યોજનાને પ્રતિસાદ મળ્યો નથી. તેથી આજે સ્થાયી સમિતિએ માત્ર 500 રૂપિયા ભરીને ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાયદેસર કરવા માટેની યોજના જાહેર કરી છે જેના કારણે મોટી સંખ્યામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાયદેસર થાય તેવી શક્યતા છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રેનેજ સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તે સુરતમાં ભુતિયા (ગેરકાયદે) ડ્રેનેજ જોડાણના કારણે વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરતમાં કેટલી સંખ્યામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ છે તેનો અંદાજ નથી પરંતુ સંખ્યા મોટી હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના કારણે સુરત પાલિકાએ ભુતકાળમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાયદેસર કરવા માટે 50 ટકા ફી ભરીને કાયદેસર કરી દેવાશે તેવી યોજના જાહેર કરી હતી.
જોકે, આ યોજનામાં ફી ભરવામાં કેટલીક વિસંગતતા હતી જેના કારણે 50 ટકા ફી ભરી ડ્રેનેજ જોડાણ કાયદેસર કરવાની યોજનાને મોળો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે સુરત પાલિકાની સ્થાયી સમિતિએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સુરત પાલિકાના આકારણી દફતરે 31 ડિસેમ્બર,2025 સુધી નોંધાયેલા કોઇપણ રહેણાંક મિલકતોના ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશનો નિયમિત કરવા માટે મિલકતદાર 31 ડિસેમ્બર, 2026 સુધી અરજી કરી શકશે. આ માટે માત્ર 500 રૂપિયાની નજીવી ફી ભરીને સુરતીઓ ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ કાયદેસર કરાવી શકશે.










