![]()
Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ અને વિવિધ સરકારી કાર્યક્રમ અને ઉજવણી, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સહિત અનેક કાર્યક્રમ માટે પરિપત્ર જાહેર કરવામા આવે છે. શિક્ષકો બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય અભ્યાસક્રમ પૂરો થતો નથી તેથી હવે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે પણ પરિપત્ર જાહેર કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે તેમાં શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન સાથે વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાઈ તે માટે કામગીરી કરવા વધુ એક પરિપત્ર જાહેર થયો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ છે સાથે સત્ર શરુ થયું ત્યારથી જ શિક્ષકોને માથે અન્ય પ્રવૃત્તિ નાખી દેવામાં આવી છે. હાલ સમિતિની શાળાઓમાં એક પછી એક પરિપત્ર વિવિધ ઉજવણીઓ, રન, રેલી, યાદી સુધારણા આ બધામાં શિક્ષકો એટલા ફસાયા છે કે બાળકોનું ભણતર માટે સમય નથી મળતો. આવામાં રાષ્ટ્રીય કામગીરી એવી મતદાર સુધારણા કામગીરી થઈ રહી છે તેથી શિક્ષકો મતદાર યાદી સુધારણામાં જોડાયા છે અને વર્ગખંડમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. શિક્ષકોને શિક્ષણ સિવાય પ્રવૃત્તિ માટે અનેક પરિપત્ર નિકળે છે તેમાં વધુ એક પરિપત્ર નિકળ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામા આવી છે. 16 થી 25 નવેમ્બર દરમિયાન દરેક વિધાનસભામાં યુનિટી રન યોજાશે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, સરદાર પટેલ જન્મ જયંતિએ યોજનાર યુનિટી રનમાં વિદ્યાર્થીઓ હાજર રહે તે માટે આયોજન કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, સરદાર સાહેબને પત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓને કાપડ આપીને કાર્યક્રમ માટે બેનર-ચિત્ર સર્જનાત્મક કલાકૃતિ બનાવે તે બાબતનું આયોજન કરવા સાથે વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરવાનું રહેશે. સાથે સાથે જે વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવાનું છે તે પૂર્વે એન.એસ.એસના વાર્ષિક કેમ્પનું આયોજન કરવું જે વિદ્યાર્થીઓ આ પદયાત્રાની પૂર્વ તૈયારીમાં સહભાગી થાય તે રીતે તારીખ નક્કી કરવી તેવું પણ જણાવ્યું છે.
એક તરફ પાલિકાની શાળામાં શિક્ષકોની ઘટ છે અને જે શિક્ષકો છે તેમાંથી મોટા ભાગના શિક્ષકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વ્યસ્ત છે. આવામાં વધુ એક પરિપત્રના કારણે સમિતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણથી દુર જઈ રહ્યાં છે.










