Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવિધ કાર્યક્રમ અને ઉત્સવની ઉજવણી માટેના સર્વ શિક્ષા અભિયાન કે સરકારમાંથી આવતા પરિપત્ર કોપી પેસ્ટ કરી દેવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

હાલમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છતા પખવાડિયા 2025 ની ઉજવણીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કોવીડ વખતે નિયમો હતા તેવા માસ્ક યોગ્ય રીતે પહેરવું અને હાથ મિલાવવા નહીંની સૂચના સાથે વ્યક્તિગત વસ્તુઓ તથા ખોરાક અન્ય સાથે ન વહેંચવા સમજણ આપવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોવીડે વિદાય લીધી છે ત્યારે સર્વ શિક્ષા અભિયાનનો આ પરિપત્ર આશ્ચર્ય સર્જાવી રહ્યો છે અને તેથી પરિપત્ર કોપી પેસ્ટ કરતા હોવાની ફરિયાદ સાંભળવા મળી રહી છે.










