![]()
મેળો અન્ય જગ્યાએ યોજવા કલેકટરને રજૂઆત
કોલેજના ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની ભીતિ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા ચાલુ વર્ષે આગામી તા.૧૬ ઓગષ્ટથી ૧૯ ઓગષ્ટ સુધી શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાન લોકમેળો યોજાતો હતો પરંતુ સૌપ્રથમ વખત ચાલુ વર્ષે આર્ટસ કોલેજમાં આયોજન કરાયું છે.
એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં મેળો યોજાવાથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં ખલેલ ઉભી થઈ શકે છે. આ ઉપરાંત આ જગ્યા વઢવાણ રાજવીએ માત્ર શૈક્ષણિક હેતુ માટે આપેલી હોવાથી શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ થાય તેવું કોઈપણ કાર્ય આ મેદાનમાં કરવું યોગ્ય નથી. જ્યારે જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે મનપા તંત્ર પાસે અનેક વિકલ્પો છે વર્ષોથી યોજાતું સ્થળ મેળાનું મેદાન પણ હાલ ખાલી હોવા છતાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડનો ઉપયોગ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. આથી મનપા તંત્ર દ્વારા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવાની જાહેરાત અંગે ફેર વિચારણા કરવામાં આવે અને અન્ય કોઈ જગ્યાએ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી હતી. આ તકે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના હોદ્દેદારો, આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.










