![]()
Surat Railway Station: દિવાળી અને છઠ માટે ઘરે પરત ફરતા પરપ્રાંતિય કામદારોની ભીડને કારણે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરની બધી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટેશનથી બહારની શેરીઓ અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી મુસાફરોની લાંબી લાઇનો લાગી ગઈ છે. દરેક જગ્યાએથી એક જ અવાજ આવી રહ્યો છે, ‘ભાઈ, હું ઘરે જવા માંગુ છું, પણ મને ટ્રેનમાં સીટ મળતી નથી…’
સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઇન
શુક્રવારે (17 ઓક્ટોબર) રાતથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો સ્થળાંતરિત કામદારો સ્ટેશન પર ઊભા છે. ભીડ એટલી મોટી છે કે, લાઇન સ્ટેશન પરિસરની બહાર સુધી જોવા મળી રહી છે. વૃદ્ધો, સ્ત્રીઓ, નાના બાળકો અને યુવાનો બધા ગરમી, ભૂખ અને તરસનો સામનો કરીને ટ્રેન પકડવાની આશામાં ઊભા છે.
મળતી માહિતી મુજબ, કેટલાંય લોકો છેલ્લાં 12થી 18 કલાક સુધી ખાણી-પીણીની લાઇનમાં લાગેલા છે. સ્ટેશનની બહારની સ્થિતિ એવી છે કે, અહીં માણસો સિવાયની ખાલી જગ્યા પણ નથી મળી રહી. અનેક લોકો પ્લેટફોર્મ પર જમીન પર નીચે બેઠા છે. જોકે, અમુક છાંયડાની તપાસમાં આસપાસના ઘર અને દુકાનોની સહારો લઈ રહ્યા છે.
રેલ્વે તંત્ર પર સવાલો
રેલ્વે વહીવટી તંત્રનો દાવો છે કે, વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ પહેલાં સેંકડો વધારાની સ્પેશિયલ ટ્રેન મૂકવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ, જમીની હકીકત તેનાથી સાવ અલગ જ જોવા મળી રહી છે. અનેક મુસાફરો ટિકિટ હોવા છતાં ટ્રેનમાં ચઢી નથી શકતા. યુપી-બિહાર જતી ટ્રેનમાં સવાર લોકો રાત્રે લાઇનમાં લાગેલા છે પરંતુ, હજુ સુધી તેમને ટ્રેન નથી મળી.
12 કલાકથી લાઇનમાં ઊભા છે લોકો
સુરત રેલ્વે સ્ટેશન પર લાઇનમાં ઊભા એક શખસે જણાવ્યું કે, તેમને બિહાર જવું છે જેના માટે તે રાત્રે દસ વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે પરંતુ, 12 કલાક બાદ પણ તેમનો નંબર ન આવી શક્યો અને તે લાઇનમાં ઊભા છે. રસ્તા પર ફક્ત મુસાફરોની લાઇન જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ
વળી, સુરત રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજની ટ્રેનની રાહ જોઈ રહેલા શખસે કહ્યું કે, સાંજે સાત વાગ્યાથી પોતાના ઘરે જવા માટે લાઇનમાં ઊભા છે પરંતુ, હજુ સુધી તેમનો નંબર નથી આવ્યો. મુંબઈ અને દિલ્હીથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે, જ્યાં સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે અને ટ્રેનની અંદર પણ લોકો ઠસાઠસ ભરેલા છે.










