Maninagar Seventh Day School controversy: અમદાવાદની મણિનગર સ્થિત સેવેન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. તાજેતરમાં સ્કૂલના જ ત્રણ વિદ્યાર્થીઓએ એક અન્ય વિદ્યાર્થી સાથે ઉગ્ર મારામારી કરી હતી. આ હિંસક ઘટનામાં હુમલાખોર વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીના શર્ટના બટન બ્લેડ મારીને તોડી નાખ્યા હતા અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પીડિત પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
NSUIનો વિરોધ અને કાર્યવાહી
સ્કૂલ કેમ્પસમાં વારંવાર બનતી આવી ગંભીર ઘટનાઓને પગલે NSUI(નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) મેદાને આવ્યું છે. NSUIના કાર્યકરોએ સ્કૂલના સત્તાધીશો અને જવાબદાર શિક્ષણ અધિકારીઓની નિષ્ફળતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગત મોડી રાત્રે NSUIના નેતાઓએ સ્કૂલ પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રતીકાત્મક રૂપે સ્કૂલના મુખ્ય દરવાજા પર તાળા મારી દીધા હતા.
કાયદો-વ્યવસ્થા પર સવાલ
શાળામાં વારંવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોવાના આક્ષેપ સાથે ગત મોડી રાત્રે NSUIના નેતાઓ ચિરાગ દરજી અને વેદાંત તોમર કાર્યકરો સાથે સ્કૂલે પહોંચ્યા હતા. તેમણે વિરોધના ભાગરૂપે સ્કૂલના તમામ મુખ્ય ગેટ પર પોતાના તાળા મારી દીધા હતા.
આ પણ વાંચો: કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો
કડક કાર્યવાહીની માંગ
NSUI નેતા વેદાંત તોમરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી સરકાર આ ઘટનામાં બેદરકારી દાખવનાર સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર સ્ટાફને પદ પરથી દૂર નહીં કરે, ત્યાં સુધી અમે બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આ લડત ચાલુ રાખીશું. અમે દરરોજ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરીશું અને રાત્રિના સમયે સ્કૂલને તાળાબંધી કરી પોતાનો વિરોધ ચાલુ રાખીશું.











