![]()
મુંબઈ : ભારતનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૬૦.૯૦ રહ્યો હતો તે ઓકટોબરમાં સાધારણ ઘટી ૫૮.૯૦ જોવા મળ્યો છે. માગમાં સ્થિતિસ્થાપકતા અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે પીએમઆઈનું સ્તર એકંદર રીતે મજબૂત જળવાઈ રહ્યું છે.
ઓકટોબરનો પીએમઆઈ વર્તમાન વર્ષના મે બાદ નીચી સપાટીએ રહ્યો છે, પરંતુ ૫૦ના સ્તરથી તે ઘણો જ ઊંચો છે.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ઈન્ડિયા સર્વિસિઝ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે જીએસટીમાં રાહતને કારણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિને ટેકો મળી રહ્યો છે. પરંતુ સ્પર્ધા અને વરસાદને કારણે તેની વિસ્તરણ ગતિ ધીમી પડી હતી.
૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સેવા ક્ષેત્રના પીએમઆઈની લાંબા ગાળાની સરેરાશ ૫૪.૩૦ રહી છે, જેની સરખામણીએ ઓકટોબરનો પીએમઆઈ નોંધપાત્ર ઊંચો છે.
કાચા માલના ખર્ચમાં વધારો ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે, જેથી સેવા પૂરી પાડતી કંપનીઓને રાહત થઈ હતી. બીજી બાજુ સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળી સંયુકત પીએમઆઈ જે સપ્ટેમ્બરમાં ૬૧ રહ્યો હતો તે ઓકટોબરમાં સહેજ ઘટી ૬૦.૪૦ જોવા મળ્યો છે.
નવા બિઝનેસ ઓર્ડરમાં વધારાની ગતિ પણ પાંચ મહિનાની નીચી સપાટીએ જોવા મળી છે. જીએસટીમાં સુધારાને કારણે ભાવનું દબાણ ઘટાડવામાં મદદ મળી છે. સેવા પૂરી પાડવલા પાછળના ખર્ચમાં વધારો સાત મહિનાના નીચા સ્તરે જોવા મળ્યો છે.
સેવા પૂરી પાડવા માટે સમયમર્યાદા જળવાઈ રહે તેની ખાતરી રાખવા કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં વધારો કર્યો હતો. જો કે કર્મચારીઓની ભરતીની માત્રા ૧૮ મહિનાના નીચા સ્તરે રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
કર્મચારીઓની ભરતીમાં વધારાને કારણે બાકી પડેલા ઓર્ડર પૂરા કરવામાં મદદ મળી હોવાનું પણ કંપનીઓ દ્વારા જણાવાયું હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અનિશ્ચિતતા વચ્ચે પણ સેવા પૂરી પાડતી કંપનીઓને ભાવિ વેપાર પ્રવૃત્તિ માટે આશાવાદ જળવાઈ રહ્યો છે. માગમાં મજબૂતાઈ તથા સ્પર્ધાત્મક ભાવ પૂરા પાડવાના વ્યૂહને કારણે આશાવાદ મજબૂત રહેવા પામ્યો છે. સેવા ક્ષેત્રના પીએમઆઈમાં ઘટાડાને પરિણામે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ સહેજ નબળો રહેવા પામ્યો છે.










