![]()
– માતર તાલુકાના ભલાડા ગામમાં
– માતરના હાડેવાના બે શખ્સોએ ચાંદીનું છત્ર તારાપુરના જ્વેલર્સને વેચ્યું હતું
નડિયાદ : માતર તાલુકાના ભલાડા ગામે આવેલા હરસિધ્ધિ માતાના મંદિરમાંથી માતાજીને ચડાવેલા રૂા. ૧૬ હજારના ૨૩૦ ગ્રામ ચાંદીના છત્રની ચોરી થઈ હતી. લીંબાસી પોલીસે ચોરી કરનારા બે શખ્સો તેમજ ચોરીના મુદ્દામાલ સાથે જ્વેલર્સને ઝડપી પાડયો છે.
માતર તાલુકાના ભલાડા ગામમાં હરસિધ્ધિ માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં તા.૨૨/૭/૨૫ની સવારે દર્શન કરવા આવેલો અજાણ્યો શખ્સ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી મૂત પર ચડાવેલું ચાંદીનું છત્ર વજન ૨૩૦ ગ્રામ કિંમત રૂ.૧૬,૦૦૦નું ચોરી ગયો હતો. મંદિરના સીસીટીવીમાં અજાણ્યો ઈસમ સવારે ૯ઃ૨૦ કલાકે મંદિરના ગર્ભ ગૃહમાં ચોરી કરતો જોવા મળ્યો હતો.
આ અંગ લીંબાસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. લીંબાસી પોલીસે પરીએજ ગામમાંથી મંદિરમાંથી ચોરી કરનાર કુલદીપ આસાભાઈ ભોઈ તેમજ અરવિંદ ઘનશ્યામભાઈ ઓડ બેલદાર (બંને રહે. હાડેવા તા. માતર)ને ઝડપી પાડયા હતા.
બંનેની પૂછપરછમાં ચોરીનો મુદ્દામાલ કલ્પેશ દુર્લભ લુભાણી સોની (રહે. આરાધ્ય સોસાયટી, તારાપુર)ને વેચ્યો હોવાનું જણાવતા પોલીસે તારાપુર ખાતેથી જ્વેલર્સને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.










