![]()
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો મહત્વનો નિર્ણય ઓફિસના વાતાવરણ અને શિસ્ત પર અસર થતી હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી
જૂનાગઢ, : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વહીવટી શિસ્ત અને કામગીરીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીની વિવિધ કચેરીઓમાં ચાલુ કામકાજ દરમ્યાન થતા ધાર્મિક ઉત્સવોના આયોજનને કારણે પડતી અડચણોને ધ્યાનમાં રાખીને હવેથી આવા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે.
PGVCLના માનવ સંસાધન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ કચેરીના સમય દરમ્યાન ધાર્મિક ઉત્સવોના આયોજનથી ઓફિસના વાતાવરણ અને શિસ્ત પર અસર પડતી હોવાની રજૂઆતો મળી હતી. કંપનીના સક્ષમ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને સૂચના આપી છે કે ધાર્મિક આયોજનોને કારણે કંપનીની કામ કરવાની ક્ષમતા પર નકારાત્મક અસર ન પડે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. કચેરીઓમાં આવતા ગ્રાહકોને આવા આયોજનોને કારણે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. ઓફિસમાં વ્યાવસાયિક અને શિસ્તબધ્ધ વાતાવરણ જળવાઈ રહે તે માટે કચેરી સમય દરમ્યાન ઉત્સવો ઉજવવાનું ટાળવામાં આવશે.
આ આદેશ રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મોરબી, પોરબંદર સહિતના તમામ વર્તુળ કચેરીના વડાઓને મોકલી દેવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ સ્તરે આ સૂચનાની ચુસ્ત અમલવારી કરવામાં આવે. આ નિર્ણયને પગલે હવે પીજીવીસીએલની તમામ પેટા કચેરીઓમાં કામકાજના કલાકો દરમ્યાન માત્ર ઓફિસની કામગીરી અને ગ્રાહક સેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે









