![]()
– બે કિ.મી.નો રસ્તાનું કામ અધુરૂ મુકી દેવાયું
– રોડ પર એક એક ફૂટના ખાડાઓથી રાજુલાથી ખાખબાઈ રૂટની બસ પણ બંધ કરાઈ
રાજુલા : રાજુલાના હિંડોરડાથી જૂની બારપટોળીના પાટીયા સુધીનો બે કિ.મી.નો રોડ રીપેરીંગ ન કરાતા વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપેલ છે. રાજુલાના સહકારી અગ્રણી બેંકના ડિરેક્ટરએ ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે.
હિંડોરડાથી કાતર સુધીનો રોડ તાજેતરમાં રીપેરીંગ કરાયો હતોે. પરંતુ ગમે તે કારણસર રાજુલાથી ભરડીયા જૂની બારપટોળીના પાટીયા સુધીનો બે કિ.મી.નો બિસ્માર રસ્તો બાંધકામ ખાતાના સત્તાધીશોના ધ્યાનમાં આવ્યો નહીં અને બે કિ.મી.નો રસ્તો અધૂરો મૂકી દેવાયો છે. ૧૫ દિવસથી કામ બંધ થઈ ગયું છે લોકોને એમ હતું કે, આ રસ્તો પણ રીપેરીંગ કરાશે પરંતુ તે ન કરાતા અમરેલીના બાંધકામ ખાતા સામે લોકોમાં રોષની લાગણી ઉદભવી છે. અહિં એક એક ફૂટના ખાડા હોવાથી બે કિ.મી.ના રોડમાં અકસ્માતો થાય છે. રાજુલાથી ખાખબાઈ વાયા હિંડોરડા બસ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે બીજી તરફ રાજુલા ખાંભા રૂટના નાઈટ બસના ડ્રાઈવરો કહે છે કે,આ રૂટમાં કમાનો તૂટી જવાથી રૂા ૭૦૦૦ ભરવા પડે છે અને તે પણ પગારમાંથી કપાઈ જાય છે જેથી હવે એસ.ટી.બસ પણ બંધ થાય તેવું પણ વલણ જોવા મળી રહ્યું છે. ફૂટ ફૂટના ખાડાથી અકસ્માતની શકયતા વધે છે. ભયંકર ધૂળની ડમરી ઉડતી હોય રાત્રીના વાહનો પણ દેખાતા નથી અને મોટા અકસ્માત થાય તેવી સ્થિતિ આ રોડની છે તેમ છતા તંત્રવાહકો આંખ આડા કાન કરી રહ્યા હોય ગ્રામજનોમાં પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.










