![]()
Accident In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના પહાડી રસ્તાઓ પર વધુ એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. ચંબા જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં પ્રવાસીઓથી ભરેલી એક કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં છત્તીસગઢના બે પરિવારોના 7 સભ્યો સહિત કુલ 8 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જોકે કાર જે રીતે ખીણમાં પડી છે તે જોતાં કોઈના પણ બચવાની આશા નહિવત્ હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
29મી મેની મધ્યરાત્રિએ સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, આ કાળજું કંપાવી દેનારો અકસ્માત 29મી મેના રોજ મધ્યરાત્રિએ ચુરાહ સબડિવિઝનના બૈરાગઢ-સચ પાસ-કિલાડ રોડ પર સર્જાયો હતો. પ્રવાસીઓને લઈને જઈ રહેલું વાહન અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે સીધું ઊંડી ખીણમાં જઈ પડ્યું હતું.
અકસ્માતનો ભોગ બનેલા છત્તીસગઢના બંને પરિવારોના સભ્યો હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ ડેલહાઉસીની એક હોટેલમાં રોકાયા હતા.29મી મેના રોજ તેઓ હોટેલમાંથી ગાડી બુક કરાવીને સચ પાસ ફરવા માટે નીકળ્યા હતા. જોકે, પ્રવાસીઓ સાંજ સુધીમાં હોટેલ પાછા ફરવાના હતા. મોડી રાત સુધી પ્રવાસીઓ પાછા ન આવ્યા અને તેમના મોબાઈલ ફોન પર પણ સંપર્ક ન થઈ શક્યો, ત્યારે હોટેલ મેનેજમેન્ટે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી.
દુર્ગમ વિસ્તાર હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી
હોટેલ પ્રશાસનની માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન બૈરાગઢ-સચ પાસ રોડ પર ખીણમાંથી અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી. વાહનની હાલત જોતાં અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજો લગાવી શકાય છે.
ચંબાના પોલીસના જણાવ્યાનુસાર, અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમોને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. જોકે, અકસ્માત સ્થળ ખૂબ જ અંતરિયાળ અને દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી બચાવ ટીમોને ત્યાં પહોંચવામાં અને ખીણમાં ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં ગાડીમાં સવાર તમામ 8 લોકોના મોતના સંકેત મળી રહ્યા છે.
આ અકસ્માતને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે અને પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી તેમજ મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.








