![]()
દોઢ વર્ષ પહેલા લગ્ન કરનાર પરિણીતાને પતિએ કહ્યું : 1 વર્ષથી માવતરને ત્યાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને જેઠ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
રાજકોટ, : ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પુજાબેન નામની 21 વર્ષની પરિણીતાએ પતિ અજયપરી, સસરા જયસુખપરી મોહનપરી ગોસ્વામી, સાસુ-તૃપ્તિબેન અને જેઠ રવિપરી સામે ત્રાસ અને દહેજધારા હેઠળ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. એકાદ વર્ષથી પિયરમાં રહે છે. સાસુ-સસરાએ સંન્યાસ લીધેલો છે. બંને કાલાવડના ચીભડા ગામે આશ્રમમાં રહે છે. લગ્નના બે મહિના પછી સાસુએ ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં દહેજમાં કાંઈ લાવી નથી, તારા મા-બાપે તને શું જોઈ પરણાવી છે, તે મારા દિકરાની જિંદગી બગાડી નાખી તેવા મેણાટોણા પણ મારતા હતા.
જેઠ તારો બાપ ભીખારી છે, તને કરિયાવરમાં કાંઈ આપ્યું નથી તેવા મેણાટોણા મારતો હતો. પતિ નાની-નાની વાતમાં શંકા-કૂશંકા કરી ઝઘડા કરી કહેતો કે અમારૂ કુટુંબ બહુ માથાભારે છે, તું શાંતિથી નહીં રહી શકે, મારા પિતા અને ભાઈએ પરાણે લગ્ન કરાવ્યા છે. પતિ તેને એકલા ઘરની બહાર જવા દેતો નહીં. લગ્નના એક માસ બાદ પિયર ગઈ ત્યારે પતિ પણ સાથે આવ્યો હતો અને કહ્યું કે હું જયારે બપોરે સુઈ જાવ છું, ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર જતી રહે છે, કયાં જાય છે તેની મને જાણ નથી. બાદમાં ગાળો ભાંડી મારકૂટ કરી હતી. પતિ પિયર રહેવા માટે જવા દેતો નહીં. મોબાઈલ હાથમાં લ્યે તો પડાવી લેતો હતો.
લગ્નના ત્રણેક માસ બાદ તેણે પતિના મોબાઈલ ફોનમાં અન્ય મહિલા સાથે વીડિયો કોલમાં વાતચીતના સ્ક્રીન શોટ જોયા હતા. મેસેજ કરતા પણ જોયો હતો. આ બાબતે જેઠાણીને જાણ કરતાં સરખો જવાબ આપ્યો ન હતો. પતિને પૂછતાં કહ્યું કે તારે જાણવાની જરૂર નથી. સસરાએ કહ્યું કે તેને તો મનમાં આવશે તેમ જ કરશે, તમને પોસાય તો રહો બાકી નીકળી જાવ. લગ્ન પછી આવતી ભીમ અગિયારસે પિયર જવા માટે માસીનો પુત્ર તેડવા આવતા સસરાએ ગાળો ભાંડી હતી. બાદમાં સસરા અને જેઠ તેને ઘરના આંગણે ઉતારી જતા રહ્યા હતા. ઘરે જઈ માતા-પિતાને આ વાત કરતાં તેમણે પતિને જાણ કરી હતી. તે વખતે પતિએ કહ્યું કે મને આ બાબતે ફોન કરવો નહીં. જે-તે વખતે તેણે મહિલા પોલીસમાં અરજી કરી હતી. તે વખતે સાસરિયાઓએ સમાધાનની વાત કરી હતી. પરંતુ સંપર્ક કર્યો ન હતો. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.










