![]()
હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટ દ્વારા શરતી જામીન આપ્યા બાદ ગુજરાત છોડીને જવું નહીં તેમ છતાં કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી રાજસ્થાન પ્રવાસે જઈ આવ્યાનો વિવાદ સર્જાયો છે. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
વડોદરાના હરણી તળાવના આરોપી પરેશ શાહે કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી, પત્ની સાથે રાજસ્થાનની મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. પરેશ શાહ રાજસ્થાનની એક હોટેલમાં ચેક-ઇન કરતા અને ફોર્મ ભરતા જોવા મળ્યા છે, જેનો ખુલાસો ન્યાયની રાહ જોતા પીડિત પરિવારો માટે આઘાતજનક છે.
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવ ખાતે એક બોટ પલટી જતાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાય અને વળતર માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે આરોપીઓ પીડિત પરિવાર ને વળતર ચૂકવવા કારણો ધરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ત્યારે વડોદરા કોર્ટ ના હુકમનું ઉલ્લંઘન કરી પરેશ શાહ પત્ની સાથે ગુજરાત બહાર ફરતો હોવાથી પીડિત પરિવારમાં વધુ ગમગીની ફેલાય ગઈ છે.
કોર્ટે આરોપી પરેશ શાહને સ્થાનિક સીમામાં રહેવાના અને કોઈપણ પ્રવાસ માટે પરવાનગી લેવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા. જોકે, તેમણે આ હુકમની અવગણના કરી અને રાજસ્થાનની મુસાફરી કરી હોવાથી પરેશ શાહ ફરી વિવાદમાં આવ્યા છે. હોટેલમાં ફોર્મ ભરતા અને પેમેન્ટ કરતા દેખાયા, જે આ કેસમાં નવો વિવાદ ઉભો કરે છે.
આ ઘટનાએ પીડિત પરિવારોમાં રોષની લાગણી ઉભી કરી છે. એક પીડિત પરિવારના સભ્યએ જણાવ્યું, “અમે ન્યાય અને વળતર માટે લડી રહ્યા છીએ, અને આરોપી મોજશોખથી પ્રવાસ કરી રહ્યા છે. આ કેવો ન્યાય છે?” પીડિતોનું કહેવું છે કે આવી ઘટનાઓ ન્યાય પ્રત્યેનો તેમનો વિશ્વાસ ડગમગાવે છે.
આ ઉપરાંત, સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે પરેશ શાહનો પુત્ર હાલ વિદેશમાં છે. આ ઘટનાએ ન્યાયતંત્રની કાર્યવાહીનો ભંગ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
હોડી હોનારતના અસરગ્રસ્ત પરિવારો માટે લડતા વકીલે જણાવ્યું હતુકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેઓ નહીં કરે તો કોર્ટના આદેશનું ઉલંઘન કરનાર પરેશ શાહ સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.










