![]()
Jagannath Temple Treasure: ઓડિશાના પુરીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરનો ખજાનો હાલ ચર્ચામાં છે. તેને ‘રત્ન ભંડાર’ તરીકે ઓળખવામાં આવે છે. રત્ન ભંડારમાં રહેલી સંપત્તિનું દસ્તાવેજીકરણ (ડોક્યુમેન્ટેશન) કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લગભગ 48 વર્ષ પછી એ સ્પષ્ટ થશે કે રત્ન ભંડારમાં કેટલું સોનું અને ચાંદી છે. આ રીતે પુરીના આ પ્રસિદ્ધ મંદિરના ખજાનાને લઈને લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. બુધવારે બપોરે 12 વાગ્યા પછી શુભ મુહૂર્તમાં રત્ન ભંડારમાં શું-શું અને કેટલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
રત્ન ભંડારના ઇતિહાસ પર કરો નજર!
પુરીના શ્રીમંદિરમાં રત્ન ભંડારની હાજરી મંદિરના નિર્માણ સમયથી જ છે, એટલે કે તેને પણ 12મી સદીની આસપાસનો માની શકાય છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલી કથાઓમાં બે રાજાઓ ઇન્દ્રદ્યુમ્ન અને રાજા ગાલુ માધવનો ઉલ્લેખ વારંવાર થાય છે. કહેવાય છે કે રત્ન ભંડાર રાજા ઇન્દ્રદ્યુમ્નનો જ શાહી ખજાનો હતો, જે તેમણે જન કલ્યાણ માટે ભગવાન નીલમાધવ (જગન્નાથ મહાપ્રભુ)ને અર્પણ કરી દીધો હતો. ત્યારે દેવી લક્ષ્મીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓ પોતે આ ક્ષેત્રમાં નિવાસ કરશે અને તેમની કૃપાથી રત્ન ભંડાર ક્યારેય ખાલી નહીં થાય.
કોણે આપ્યું સોનું-ચાંદી?
રત્ન ભંડારના બે ભાગ છે, અંદરનો ભંડાર અને બહારનો ભંડાર. ‘ઓડિશા મેગેઝિન’ (રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત પત્રિકા) મુજબ, રાજા અનંગભીમ દેવે ભગવાન જગન્નાથના આભૂષણો તૈયાર કરવા માટે મોટી માત્રામાં સોનું દાન કર્યું હતું. બહારના ખજાનામાં ભગવાન જગન્નાથના સોનાના મુગટ અને સોનાના ત્રણ હાર (હરિદાકંઠી માળા) છે, જેમાંથી દરેકનું વજન 120 તોલા છે.
રત્ન ભંડારમાં કયા-કયા દાગીના છે?
રિપોર્ટમાં ભગવાન જગન્નાથ અને બલભદ્રના સોનાના બનેલા ‘શ્રીભુજા’ અને ‘શ્રીપયાર’નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ, આંતરિક ખજાનામાં સોનાના 74 આભૂષણો છે, જેમાંથી દરેકનું વજન 100 તોલાથી વધુ છે. સોના, હીરા, મૂંગા અને મોતીથી જડેલી પ્લેટો પણ છે. આ સિવાય 140થી વધુ ચાંદીના આભૂષણો પણ ખજાનામાં રાખવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથની નિધિ હોવાને કારણે ભક્તોમાં પણ આ રત્ન ભંડાર પ્રત્યે ઊંડી આસ્થા છે.
ક્યારે-ક્યારે ખોલવામાં આવ્યો રત્ન ભંડાર?
રત્ન ભંડારને 48 વર્ષ પહેલા 13 મે 1978ના રોજ ખોલવામાં આવ્યો હતો, ત્યારે આ પ્રક્રિયા 23 જુલાઈ 1978 સુધી ચાલી હતી. ત્યારે થયેલી ગણતરીમાં 454 સોના મિશ્રિત વસ્તુઓ (128.38 કિલો), 293 ચાંદીની વસ્તુઓ (221.53 કિલો) અને અનેક કિંમતી રત્નો નોંધાયા હતા. આ અગાઉ રત્ન ભંડારને 1905 અને 1926માં પણ ખોલવામાં આવ્યો હતો. વર્ષ 2018માં વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ રત્ન ભંડારમાં 12,831 ભરી (એક ભરી એટલે 11.66 ગ્રામ) થી વધુ સોનાના દાગીના અને 22,153 ભરી ચાંદીના વાસણો તેમજ અન્ય કિંમતી સામાન છે.
વર્ષ 2018… જ્યારે ચાવી ખોવાઈ ગઈ હતી
ઓડિશા હાઈકોર્ટે 2018માં રાજ્ય સરકારને રત્ન ભંડાર ખોલવા નિર્દેશ આપ્યો હતો. 4 એપ્રિલ 2018ના રોજ કોર્ટના આદેશ પર 16 લોકોની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ ખજાનો ખોલી શકાયો નહીં કારણ કે અચાનક ખબર પડી કે તેની ચાવી ખોવાઈ ગઈ છે. તે સમયે નવીન પટનાયક મુખ્યમંત્રી હતા. તેમણે 4 જૂન 2018ના રોજ ન્યાયિક તપાસના આદેશ આપ્યા. તપાસ સમિતિએ 29 નવેમ્બર 2018માં રિપોર્ટ સોંપ્યો પરંતુ સરકારે તેને જાહેર કર્યો નહીં, તે વખતે ચાવી કેમ ગુમ થઈ તે અંગે આજ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં
ભગવાન લોકનાથ કરે છે સુરક્ષા
હવે લાંબા સમય બાદ બુધવાર 25 માર્ચથી રત્ન ભંડાર ખોલવામાં આવ્યો છે. તેને ખોલતા પહેલા તમામ પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ તેમજ લોકનાથની પરવાનગી લેવામાં આવી છે. લોકનાથ મંદિર જગન્નાથ મંદિરથી બે કિલોમીટર દૂર છે, જે એક શિવ મંદિર છે. માનવામાં આવે છે કે બાબા લોકનાથના રૂપમાં શિવજીના ગણો જ આ રત્ન ક્ષેત્રની રક્ષા કરે છે. એવી પણ માન્યતા છે કે રત્ન ભંડારની સુરક્ષા બે દિવ્ય નાગ ‘પદ્મ’ અને ‘મહાપદ્મ’ કરે છે. રત્ન ભંડારમાં સાપની હાજરી અને અજાણી સુરંગ અંગે પણ અનેક વાતો થતી રહી છે. હવે 48 વર્ષ બાદ આ ખજાનો ખુલવાથી માત્ર સંપત્તિની વિગતો જ નહીં, પણ આસ્થા અને ઇતિહાસના અનેક રહસ્યો પણ સામે આવી શકે છે.










