![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ એન્ડ ગર્વનન્સ દ્વારા લોહપુરુષ સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ બે દિવસના …અસરદાર સરદાર સર્ટિફિકેટ કોર્સનું ઈન્સ્ટિટયુટ ખાતે આયોજન કરાયું છે.જેમા અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો પણ ભાગ લઈ શકશે.
કોર્સમાં રાષ્ટ્રીય કક્ષાના વકતાઓ સરદાર પટેલના અપરિચિત પાસાઓ અંગે માર્ગદર્શન આપશે.જેમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરીના સભ્ય તથા ઈતિહાસકાર ડો.રિઝવાન કાદરીનો પણ સમાવેશ થાય છે.તેમનું કહેવું છે કે, ૧૯૩૧માં કરાંચી ખાતે મળેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના ૪૫મા અધિવેશનના પ્રમુખ તરીકે સરદાર પટેલે જે વક્તવ્ય આપ્યું હતું તેમાં ભારતના ભાવિ બંધારણના બીજ રોપાયા હતા.અધિવેશનમાં સ્વરાજ્યનો જે ઠરાવ પસાર થયો તેમાં અનુસુચિત જાતિ- જનજાતિ, લઘુમતી, મહિલાઓ, ખેડૂતો અને શ્રમિકોના મૂળભૂથ અધિકારનો સમાવેશ કરાયો હતો.આગળ જતા તે ભારતના બંધારણનો મુસદ્દો બન્યો હતો.બંધારણ સભામાં ડો.આંબેડકરના પુનઃ પ્રવેશમાં પણ સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી.નાગરિકોને આજે મળેલા બંધારણીય અધિકારો પાછળ સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ હતી.બે દિવસના સર્ટિફિકેટ કોર્સમાં સરદાર પટેલના યોગદાનને અત્યાર સુધી ક્યારેય પ્રસિધ્ધ નહીં થયેલા દસ્તાવેજો અને પત્રવ્યવહારોના માધ્યમથી રજૂ કરાશે.










