![]()
Sikh Community: પાકિસ્તાનના નનકાના સાહિબમાં દર્શન પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય સામે સેન્ટ્રલ શ્રી ગુરુ સિંહ સભાએ સખત વાંધો ઊઠાવ્યો છે. શીખ સંગઠનના જણાવ્યાનુસાર, આ લઘુમતીઓની બાબતોમાં દખલગીરી છે. શનિવારે (20મી સપ્ટેમ્બર) સભાના મહાસચિવ ડૉ. કુશલ સિંહે કહ્યું કે, ‘ભાગલા પછી, ભારત અને પાકિસ્તાન સંમત થયા હતા કે શીખ ભક્તો ગુરુપર્વ અને અન્ય પ્રસંગોએ પાકિસ્તાનના ગુરુદ્વારાઓની મુલાકાત લઈ શકશે.’
ડૉ. કુશલ સિંહે વધુમાં શું કહ્યું…
પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. કુશલ સિંહે કહ્યું, ‘છેલ્લા સાત દાયકાથી શીખ યાત્રાળુઓ નનકાના સાહિબની મુલાકાત લઈ રહ્યા છે, અને કોઈએ ક્યારેય વાંધો ઊઠાવ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પણ, શીખ જૂથોએ નનકાના સાહિબની મુલાકાત લીધી હતી. 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન, દરબાર સાહિબ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ સીલ કરવામાં આવી હતી, જોકે ભારત સરકારે શીખ યાત્રાઓ પર પ્રતિબંધ મૂક્યો ન હતો.’
તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં શીખ સમુદાય કોઈ ખતરામાં નથી અને લાદવામાં આવી રહેલા કોઈપણ પ્રતિબંધો ફક્ત રાજકીય છે. અમે શીખ સંગઠનોની સલાહ લીધા વિના કેન્દ્ર સરકારના એકપક્ષીય નિર્ણયને સ્વીકારતા નથી.’
બંધારણની કલમ 25નું ઉલ્લંઘન કરતા ડૉ. કુશલ સિંહે કહ્યું કે, ‘આ સરકારી આદેશ બંધારણની કલમ 25નું ઉલ્લંઘન કરે છે. આ પ્રસંગે, આપણે શ્રી ગુરુ નાનક દેવના ભાઈચારાના સંદેશને ફેલાવવાની જરૂર છે.’ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે, કરતારપુર કોરિડોર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી અમે મોદી સરકારને કરતારપુર સાહિબ કોરિડોર ફરીથી ખોલવા અને મુલાકાતીઓને નનકાના સાહિબ સહિત પાકિસ્તાનમાં ગુરુદ્વારાઓની મુલાકાત લેવાની મંજૂરી આપવા અપીલ કરીએ છીએ.
આ પણ વાંચો: દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી
આતંકી હુમલા બાદ ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી
પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે શનિવારે (20મી સમ્પેમ્બર) ભારતને અપીલ કરી હતી કે ગુરુ નાનક દેવજીની પુણ્યતિથિ નિમિત્તે 22મી સપ્ટેમ્બરે યોજાનાર સ્મૃતિ સમારોહ માટે શીખ યાત્રાળુઓને કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે. 26મી એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી છે.
પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (PSGPC)એ ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ના મુખ્યાલય ખાતે યોજાયેલી તેની નવમી બેઠકમાં ભારત સરકાર દ્વારા શીખ યાત્રાળુઓને ધાર્મિક હેતુઓ માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપવાના કથિત ઈનકાર પર ચિંતા વ્યક્ત કરી હતી. PSGPCના પ્રમુખ અને પંજાબ પ્રાંતના પ્રથમ શીખ મંત્રી સરદાર રમેશ સિંહ અરોરાએ બુધવારે ETPB સાથે મળીને દાવો કર્યો હતો કે પહેલગામ હુમલા પછી લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારતના શીખ યાત્રાળુઓ યાત્રા કરી શકતા નથી.










