જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર બન્યા છે. વોટ્સએપ ના માધ્યમથી કોઈ અજ્ઞાત શખ્સ એ તેના મોબાઇલ ફોનમાં આરટીઓની રીસીપ્ટ મોકલ્યા પછી તેને ખોલવા જતાં મોબાઇલ હેઇક કરી લીધો હતો, અને સૌંપ્રથમ બેન્ક ખાતામાંથી બે લાખની રોકડ રકમ ઉપાડી લીધી હતી. ઉપરાંત તેની સાથે લીંક કરેલા વેપારીના પિતાના બેંક ખાતામાંથી પણ 4,39,999ની રકમ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી, અને ચોટીલાના ત્રણ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે મામલે અજાણ્યા શખ્સ ઉપરાંત ચોટીલાના ત્રણ શખ્સો સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ ની ટુકડી હરકતમાં આવી ગઈ હતી અને ચોટીલામાંથી બે આરોપીઓને શકંજામાં લઈ લીધા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં સિલ્વર એવન્યુ સોસાયટીમાં રહેતા અને કાલાવડ નજીક ધનવેલ હાઇબ્રીડ સિડઝ લિમિટેડ નામની એગ્રોની ફેક્ટરી ચલાવતા વેપારી વિમલભાઈ મનસુખભાઈ વેકરીયા એ જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે. કે તેઓ તારીખ 29.6.2025ના બપોરે 2:00 વાગ્યાના અરસામાં પોતાની ફેક્ટરીએ હાજર હતા, જે દરમિયાન 98815 18748 નંબરના મોબાઇલ ધારક કે જેણે પોતાના વોટ્સએપ નંબર પર એક મેસેજ મોકલી તેમાં સૌપ્રથમ આરટીઓની 500 રૂપિયાની રીસીપ્ટને મોકલી હતી, જે રીસીપ્ટને ખોલવા જતાં તેનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. જે દરમિયાન બેન્ક ખાતામાંથી અને તેના પિતાના બેંક ખાતામાંથી કુલ 6 લાખ 40 હજારની રોકડ રકમ ઉઠાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે રાજકોટના વતની વિમલભાઈ મનસુખભાઈ વેકરિયા નામના વેપારી, કે જેઓ તારીખ 29.6.2025ના બપોરે 2:00 વાગ્યાના અરસામાં પોતાની ફેક્ટરીએ હાજર હતા, જે દરમિયાન તેઓને મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યો હતો. જે 500 રૂપિયાના દંડની રિસીપ્ટ હતી. જે ખોલવા જતાં વેપારી વિમલભાઈનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હોવાથી તેમણે મોબાઈલ ફોન ચાલુ કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે મોબાઇલ ફોન હેક થઈ ગયા બાદ તેમાં જુદા-જુદા મેસેજ આવ્યે રાખતા હતા. જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના મોબાઇલ ફોન મારફતે બેન્ક ખાતામાંથી રૂપિયા બે લાખની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. અને ચોટીલા પંથક ના ત્રણ જુદા જુદા ખાતેદારો મનસુરભાઈ સુભાનભાઈ આગરીયા, સમીર ઉર્ફે ચુચું મનસુરભાઈ સીદાત, અને સીરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા વગેરેના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ તેઓને કમીશન આપીને તે રકમ પરત મેળવી લીધી હતી.
ફરિયાદી વેપારી યુવાનની સાથે જ તેના પિતા મનસુખભાઈ નો મોબાઇલ લિંક કરેલો છે, જેથી બાકીની 4,39,999ની રકમ કટકે કટકે ઉઠાવી લઈ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ઓનલાઇન ઠગાઈ કરી હતી. જે સમગ્ર મામલાની જાણકારી મળી જતાં વેપારી યુવાન મનસુખભાઈ વેકરીયાએ જામનગર સાબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને તમામ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ.એ. ધાસુરા અને તેઓની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.
પોલીસ ટુકડીએ તપાસનો દોર ચોટીલા તરફ લંબાવ્યો હતો, જ્યાં રહેતા સમીર મનસુરભાઈ સીદાતર તેમજ સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા ને ઉપાડી લીધા છે, અને તેઓને જામનગર લઈ આવ્યા બાદ બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.