Karnataka Govt Approves Criminal Case Against RCB : બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક સરકારે IPLની ટીમ રોયલ ચેલેનર્સ બેંગલુરુ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. જસ્ટિસ માઈકલ ડી’કુન્હા આયોગના રિપોર્ટ બાદ રાજ્યના મંત્રીમંડળે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટના આધાર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPLની ટ્રોફી જીત્યા બાદ બેંગલુરુમાં પરેડ તથા સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં RCB દ્વારા કરાયેલી ગંભીર બેદરકારીનો ઉલ્લેખ છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે.
રિપોર્ટમાં કયા કયા ખુલાસા થયા?
મંજૂરી લીધી જ ન હતી, ફક્ત જાણ કરી હતી
આ કાર્યક્રમના આયોજક DNA Networks Pvt. Ltd ત્રીજી જૂને પોલીસને માત્ર જાણ કરી હતી. મંજૂરી નહોતી લીધી. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસે મંજૂરી આપવાનો જ ઈનકાર કર્યો હતો.
RCBએ પોલીસની વાત જ ના સાંભળી
પોલીસ મંજૂરી ન હોવા છતાં RCBએ સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો કે ચોથી જૂને કાર્યક્રમ થશે. કોહલીએ વીડિયો સંદેશ પાઠવ્યો અને ફેન્સને આવવાની અપીલ કરી, જેમાં કહેવાયું તમામને ફ્રી એન્ટ્રીનો દાવો કરાયો હતો. આ કારણસર
કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઇ ગઈ.
છેલ્લી ઘડીએ પાસ હોય તો જ એન્ટ્રીની જાહેરાત
આ કાર્યક્રમ શરૂ થયાના થોડા જ સમય પહેલા 3.14 વાગ્યે આયોજકોએ અચાનક જાહેરાત કરી કે પાસ હશે તો જ સ્ટેડિયમના એન્ટ્રી મળશે, જેથી વધુ અરાજકતા સર્જાઈ હતી. આમ, RCB, DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન વચ્ચે સંકલનનો જ અભાવ હતો. તેથી ગેટ ખોલવામાં વિલંબ થવાના કારણે અવ્યવસ્થા સર્જાઇ.
પોલીસે સીમિત કાર્યક્રમની મંજૂરી આપી હતી
પોલીસે દાવો કર્યો છે કે, સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે નાના અને સીમિત કાર્યક્રમની જ મંજૂરી આપી હતી. આ ઘટના બાદ FIR નોંધાઈ અને તપાસ શરૂ થઈ. આ ઘટના બાદ મુખ્યમંત્રીના સચિવ સસ્પેન્ડ કરાયા તેમજ ઈન્ટેલિજન્સ ચીફની બદલી કરાઈ.