– ગ્રામજનોને દર મહિને પાણી માટે વેઠવો પડતો આર્થિક ફટકો
– ખારાશયુકત જમીનને લઈને અન્ય વિકલ્પ ન હોય રહિશો નાછુટકે ખાનગી ટેન્કર મારફત પાણી મેળવવા મજબૂર બન્યા
ઘોઘા : વહિવટીતંત્રની અણઆવડત અને લાપરવાહીથી ઘોઘામાં છેલ્લા દર ૧૫ થી ૨૦ દિવસે પાણીનું અનીયમીતપણે વિતરણ કરવામાં આવતુ હોય સ્થાનિક રહિશોને પાણી માટે ટળવળવુ પડે છે. છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન ઘોઘાવાસીઓ દ્વારા પાણી પાછળ રૂા એક હજાર કરોડથી વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો.
જરૂરીયાત કરતા ઓછુ પાણી મળતુ હોય મધ્યમવર્ગીય શ્રમજીવી લોકોને ટેન્કર દ્વારા મને કમને વેચાતુ પાણી લેવાનો વખત આવતો હોય આર્થિક ફટકો વેઠવાનો વખત આવે છે. મહિ પરિએજ યોજના અંતગર્ત ઘોઘામાં ૧૫ દિવસે એકથી સવા કલાક પાણીનું વિતરણ કરાઈ રહ્યુ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઘોઘા દરિયાતટે આવેલ હોય ગામમાં ચોમેર ખારાશયુકત જમીન હોય ડંકી, બોર અને કુવામાંથી ખારુ પાણી મળતુ હોય મહિ પુરવઠા યોજના સિવાય ઘોઘામાં પાણીનો અન્ય કોઈ પ્રબળ વિકલ્પ નથી. ઘોઘાના કુંભારવાડા, વરકુવાડા, ૫૦ વારીયા,મચ્છીવાડા, માલમવાડા, ખ્રિસ્તીવાડા, સોનીવાડા, વાણીયાશેરી,ઘાંચીવાડા, મફતનગર, ૫૦ વારીયા અને મોરા વગેરે વિસ્તારોના રહિશોને અપૂરતુ પાણી મળતુ હોય તેઓને નાછુટકે જરૂરીયાત મુજબ એકાંતરે અથવા બે થી ત્રણ દિવસે ભાવનગર અને ખાનગી કોન્ટ્રાકટરો પાસેથી ટેન્કર મારફત પાણી વેચાતુ લેવુ પડે છે. એક અંદાજ મુજબ ઘોઘામાં એકાંતરે ૩૦૦,૬૦૦ અને ૧૦,૦૦૦ લીટરના નાના મોટા ટેન્કર મળીને કુલ ૬૦ થી ૭૦ ટેન્કર મંગાવાઈ રહ્યા છે. અંદાજે ૧૨ હજાર આસપાસ રહેણાંકીય મકાનોમાં સ્થાયી થયેલા ૧૫ થી ૨૦ હજારની વસ્તી પાણીની સમસ્યાથી ભારે અસરગ્રસ્ત છે. ઘરદીઠ દર મહિને અંદાજે રૂા ૧૫૦૦ થી લઈને રૂા ૨૦૦૦ અને વાર્ષિક લેખે ૨૫ હજારથી વધુ લેખે ગણીએ તો છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન ઘોઘાવાસીઓએ મીઠા પાણી પાછળ રૂા એક હજાર કરોડથી વધુ ખર્ચ શ્રમિકોને કરવો પડે છે.
પાઈપલાઈન નાખવાથી પાણીની સમસ્યા હળવી થાય તેમ છે
એક સમયે ઘોઘામાં સોનારીયા તળાવથી રામકુંડ સુધી પાણીની પાઈપલાઈન મારફત કુંડમાં પાણી એકત્ર કરાતુ હતુ. જે લાઈન કાળક્રમે ડેમેજ થઈ હોય તંત્ર દ્વારા વધારે ક્ષમતાવાળી નવી પાઈપલાઈન નાખવામાં આવે તો ઘોઘાની પાણીની સમસ્યા થોડા ઘણા અંશે હળવી થાય તેમ છે તેમ રહિશોએ જણાવ્યુ હતુ.
ગ્રામ પંચાયત દ્વારા અગાઉ રજૂઆતો કરાઈ હતી
૨૦૧૭ થી ૨૦૨૨ ની ટર્મ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા પાણીની સુવિધા માટે અસંખ્યવાર રજુઆતો કરાઈ હતી તેમ જણાવી ઘોઘા ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અન્સારભાઈ રાઠોડએ વધુમાં ઉમેર્યુ હતુ કે, તેના પરિણામ સ્વરૂપે દોઢ મહિને મળતુ પાણી દર ૧૫ દિવસે મળતુ થયું છે જે પણ અપૂરતુ છે.
પાઈપલાઈનમાં છાસવારે તૂટફૂટ થાય છે
બુધેલના પાણી પુરવઠા યુનિટના સમ્પમાંથી ઘોઘામાં પાઈપલાઈન મારફત પાણી પુરવઠો મળે છે તેમ જણાવી સરપંચ રવિનાબેન સાગરભાઈ મહેતાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, બુધેલથી ઘોઘાની પાઈપલાઈનમાં છાસવારે તૂટફૂટ થતી હોવાથી તેમજ પાવરકાપની સમસ્યાને લઈને ઘોઘામાં પાણીની સમસ્યા રહે છે.
બુધેલ યુનિટમાંથી નિયમિતપણે પાણી વિતરણ કરાય છે
બુધેલના પાણી પુરવઠાના સમ્પમાંથી મહિ પરિએજનુું ૧૦ થી ૧૫ લાખ લીટર પાણી ઘોઘામાં નીયમીતપણે આપવામાં આવે છે. તેમ જણાવી વાલ્વમેન અશોકભાઈ મકવાણાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, રોજીંદા લોડના કારણે કયારેક પાઈપલાઈનમાં તૂટફૂટ થતી હોય છે જે તત્કાલ રીપેર કરી પાણી પુરવઠાની સાતત્યતા જાળવી રાખવામાં આવે છે.