US Tariff On India: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે 1 ઓગસ્ટ, 2025 થી લાગુ પડશે. આ નિર્ણયથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સવાલો ઊભા થાય છે અને ભારતીય નિકાસ ક્ષેત્રમાં ચિંતા વધી છે. જોકે, ભારત સરકારે ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો)ના હિતોનું રક્ષણ કરવા કડક પગલાં લેવાની ખાતરી આપી છે. એવામાં જોઈએ કે 25% ટેરિફની અસર ક્યા-ક્યા નિકાસ ક્ષેત્રમાં વધુ જોવા મળશે.
87 અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં
ભારત અમેરિકાનો મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પના 25% ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી 87 અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે ઘણા મુખ્ય ઉદ્યોગોને અસર કરશે.
આ ક્ષેત્રો પર સૌથી વધુ અસર જોવા મળશે
ટ્રમ્પના આ 25% ટેરિફનો મુખ્ય નિશાન ભારતના ઘણા શ્રેષ્ઠ નિકાસ ક્ષેત્રો પર પડશે. જેમાં ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો, આભૂષણ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આ બધું 25% ની યાદીમાં છે. જોકે, ફાર્મા, સેમિકન્ડક્ટર અને આવશ્યક ખનિજોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ટ્રમ્પ ટેરિફના કાર્યક્ષેત્ર હેઠળ આવનારા ક્ષેત્રો સાથે સંકળાયેલી કંપનીઓ પર મોટી અસર જોવા મળી શકે છે.
ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ
ટાટા મોટર્સ અને ભારત ફોર્જ જેવી કંપનીઓને અમેરિકામાં માંગ ઘટવાનો ડર છે, ખાસ કરીને મોંઘા વાહનોમાં. તેમજ માંગ ઘટવાથી આ સેક્ટરના રોજગાર પર પણ અસર જોવા મળશે.
ઇલેક્ટ્રોનિક્સ અને સોલર એનર્જી
સ્માર્ટફોન અને સોલર પેનલ બનાવતી કંપનીઓને પણ આ ટેરિફની અસર જોવા મળી શકે છે, કારણ કે આ ક્ષેત્રોમાં માર્જિન પહેલેથી જ ઓછું છે.
જ્વેલરી અને મરીન એક્સપોર્ટ
$9 બિલિયનથી વધુના વાર્ષિક નિકાસ પર હવે 25% ટેરિફ લાગશે. નિકાસકારોએ કાં તો ખર્ચ ભોગવવો પડશે અથવા તેને ગ્રાહકો પર નાખવો પડશે અથવા નવા બજારો શોધવા પડશે.
ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ
જો ચીન અને વિયેતનામી સ્પર્ધકો પર અમેરિકી ટેરિફ ઊંચા રહેશે તો ઓછી કિંમતવાળી કેટેગરીમાં ભારતીય કંપનીઓને ફાયદો થઈ શકે છે, પરંતુ ઉચ્ચ માર્જિનવાળા ફેશન અને વિશેષ કપડાંમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે.
આ પણ વાંચો: જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેરિફની લાંબા ગાળે જોખમી અસર થઈ શકે છે અને તે ભારતને વિયેતનામ અને ચીન કરતાં પણ ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે. તેમણે અમેરિકા સાથે વેપાર નીતિ પર સમજૂતી કરવાનો લક્ષ્ય રાખવા જણાવ્યું છે.
અર્થતંત્ર નબળું પડી શકે છે!
અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે જો આ ટેરિફ નાણાકીય વર્ષ 2025-26 સુધી ચાલુ રહેશે તો ભારતની કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં 0.2% થી 0.5% નો ઘટાડો આવી શકે છે. જોકે, ભારત સરકાર પોતાના સ્થાનિક વ્યવસાયોના હિતોનું રક્ષણ કરવા કટિબદ્ધ છે.











