![]()
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના લખનઉમાં પરીક્ષામાં નાપાસ થયા બાદ ડિપ્રેશનમાં રહેલા 21 વર્ષીય MBAના વિદ્યાર્થી આર્યન યાદવે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેણે સુસાઈડ નોટમાં લખ્યું, ‘હું પરીક્ષામાં નાપાસ થયો છું, હું ડિપ્રેશનમાં છું, મમ્મી-પપ્પા મને માફ કરજો.’ નોંધનીય છે કે, તાલકટોરાના મહેંદી બેગ ખેડાનો રહેવાસી આર્યન મુંબઈના કાંદિવલીની આવેલી કોલેજમાં MBAનો અભ્યાસ કરી રહ્યો હતો અને બે મહિના પહેલા જ ઘરે આવ્યો હતો.
પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો
અહેવાલો અનુસાર, શનિવારે (બીજી ઓગસ્ટ) સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે આર્યનને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર આંગણામાં જાળીથી દોરડાથી લટકતો જોવા મળ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ‘સુસાઈડ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થી અભ્યાસમાં નાપાસ થવાને કારણે ડ્રિપેશનમાં હતો. આ મામલે પરિવારે કોઈના પર આરોપ લગાવ્યો નથી.’
આર્યન ઘણાં દિવસોથી આપઘાત કરવાનું વિચારતો હતો
પરિવારજનોના જણાવ્યાનુસાર, આર્યન છેલ્લા કેટલાક દિવસોથી શાંત અને તણાવમાં હતો. તેને ફક્ત તેના અભ્યાસની ચિંતા હોય તેવું લાગતું હતું. શુક્રવારે (પહેલી ઓગસ્ટ) તે બહાર ગયો અને પરત ફરતી વખતે દોરડું લઈને આવ્યો હતો. પરિવારે પૂછ્યું ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં, જેના કારણે હવે એવી શંકા છે કે તે ઘણાં દિવસોથી આપઘાત કરવાનું વિચારતો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા
મૃતક આર્યન પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય લલ્લુ યાદવનો ભત્રીજો હતો. પરિવારમાં માતા વિનિતા અને નાનો ભાઈ તેજસનો સમાવેશ થાય છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે ઘટનાના થોડા કલાકો પહેલા તે સામાન્ય હતો, પરિવાર સાથે રાત્રિભોજન કર્યું અને પછી તેના રૂમમાં ગયો. કોઈને ખ્યાલ નહોતો કે તે આટલું મોટું પગલું ભરશે.










