– વર્ષ દરમિયાન 2.08 લાખ કરદાતા પાસેથી રૂા. 165.25 કરોડની વેરા વસૂલાત
– 91 ચેક રિર્ટન કેસમાં ફોજદારી દાવો દાખલ કરતા 83 આસામીએ વેરો ભર્યોઃ વેરા આકારણીના 16 કોર્ટ કેસનો એક વર્ષ દરમિયાન નિકાલ
ભાવનગર : ભાવનગર મહાપાલિકા દ્વારા મિલ્કત વેરો વસુલવા હાલ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં મિલ્કત વેરો નહીં ભરતા ૩૬ મિલ્કતની હરરાજીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે મહાપાલિકાને મિલ્કત વેરાની સારી આવક થઈ છે.
ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગની નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧લી એપ્રિલથી ૨૮ માર્ચ સુધીમાં કુલ ૨.૦૮ લાખ કરદાતાઓ પાસેથી કુલ રૂ. ૧૬૫.૨૫ કરોડની વિક્રમી વેરા વસુલાત થયેલ છે, જે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની સાપેક્ષમાં આશરે ૨૦ હજાર નવા કરદાતાઓનો તથા આવકમાં કુલ રૂપિયા ૫ાંચ કરોડનો વધારો થયો છે. ગત ડિસેમ્બર માસથી મિલ્કત વેરા વિભાગ સહિતના મહાનગરપાલિકાના ૩૮ વિભાગને સાંકળીને કુલ ૧૦,૫૦૧ મિલ્કતમાં માસ જપ્તીની કાર્યવાહીથી રૂ. ૨૭.૫૩ કરોડની આવક થઈ છે. ઘરવેરાની કાર્પેટ પદ્ધતિમાં આકર્ષક વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્ક્રીમ ૨.૦ (ઓડીઆઈએસ ૨.૦) માં કુલ ૧૧,૭૭૩ કરદાતાએ ભાગ લઈ રૂ. ૬.૩૩ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે, જેમાં ગત વર્ષની ઓટીઆઈએસ ૧.૦ ની સાપેક્ષમાં આશરે ૭,૨૬૧ કરદાતા તથા આવકમાં કુલ રૂપિયા ૧.૮૨ કરોડનો વધારો થયો છે. આ ઓટીઆઈએસ ૨.૦ યોજનાને પૂર્ણ થવાને અંતિમ ત્રણ દિવસ જ બાકી હોય તેમજ શહેરના કરદાતાઓ આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી આગામી તા. ૩૦ તથા તા. ૩૧ માર્ચ-૨૦૨૫ની જાહેર રજાના દિવસોમાં ઘરવેરા વિભાગની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તથા કરદાતાઓ આ જાહેર રજાના દિવસોમાં પણ મિલ્કત વેરો ભરપાઇ કરી શકશે.
દરમિયાનમાં વેરો ભરપાઈ ન કરનાર શહેરની ૩૬ મિલકતની મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા હરરાજી હાથ ધરવામાં આવી છે. જેમાં ઘરવેરા વિભાગના ૯૧ ચેક રિર્ટન ના કિસ્સાઓ પૈકી ધ નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં સંબધિત આસામીઓ સામે ફોજદારી દાવો દાખલ કરતાં ૮૩ કિસ્સાઓમાં આસામીઓ દ્વારા મિલ્કત વેરાની રકમ ભરપાઇ કરી છે. મિલ્કત વેરા આકારણી બાબતના ૧૬ કોર્ટ કેસનો વર્ષ દરમિયાન નિકાલ થયો છે. તે પણ અત્રે ઉલ્લેખનિય છે.