![]()
મનપાની મિલ્કતો કેટલી જર્જરિત તે અંગે હાથ ધરાતો સર્વે
મનપાનું એનેક્સી બિલ્ડીંગ, કેનાલ રોડ, ભુતખાના, વિજ કચેરી પાસેની મિલ્કતો સામે પણ ભયગ્રસ્ત ગણીને કાર્યવાહી
રાજકોટ: રાજકોટમાં ઈ.સ.૧૯૩૪માં રાજાશાહી વખતે બનેલી ઐતહાસિક લાખાજીરાજ શાકમાર્કેટનું બિલ્ડીંગ ભયગ્રસ્ત હોવાના રિપોર્ટ બાદ મનપાએ ત્યાં વર્ષોથી બેસતા ૯૬ થડાંધારકોને ખાલી કરવા અંતિમ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કેનાલ રોડ પર મનપાના શોપીંગ સેન્ટરમાં પહેલા માળે દુકાન નં.૪ ચેતન હાર્ડવેરને પણ આ ઈમારત જર્જરીત હોય અગાઉ તા.૧૦-૮-૨૪ સુધીની મુદતની નોટિસ બાદ અંતિમ નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા અપાઈ છે.
એસ્ટેટ અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યા મૂજબ આ ઉપરાંત મનપાના મેઈન બિલ્ડીંગ સામે આવેલ એનેક્સી બિલ્ડીંગ, ભુતખાના ચોકમાં તેમજ પી.જી.વી.સી.એલ.ની કચેરી પાસેની મિલ્કત વગેરે સહિત કૂલ ૬ મિલ્કતોને ભયગ્રસ્ત ગણીને ખાલી કરવા નોટિસ અપાઈ છે જેમાં બે કેસમાં કોર્ટમાં દાવો કરાયો છે. આ મિલ્કતો ભાડુતવાળી એટલે કે ભરેલ કબજે છે.
આ ઉપરાંત શહેરમાં મનપાની આશરે ૬૦ જેટલી મિલ્કતોની સ્ટ્રક્ચરલ સેફ્ટી હાલ ચોમાસાને ધ્યાને લઈને તપાસવા પણ કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળ્યું છે.










