Jamnagar Accident : જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી નજીક એક સ્કુટી ચાલકને કૂતરું આડું ઉતરતાં અકસ્માત સર્જાયો હતો, અને સ્ફુટી ચાલક જીવાપર ગામના યુવાનને ગંભીર ઈજા થયા પછી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર તાલુકાના જીવાપર ગામનો વતની અને હાલ જામનગરમાં સાંઢીયા પુલ પાસે માધવબાગ શેરી નંબર-1માં રહેતો ભરત હીરાભાઈ પરમાર નામનો 33 વર્ષનો સતવારા યુવાન, કે જે ગત 4 તારીખે સવારે 7.45 વાગ્યાના આરસામાં પોતાનું સ્કુટી લઈને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન નાઘેડી ગામના પાટીયા પાસે એકાએક કૂતરું આડું ઉતરતાં સ્કૂટી સ્લીપ થઈ ગયું હતું.
જે અકસ્માતમાં ભરત પરમારને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઇ હતી, અને તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હિતેશ હીરાભાઈ પરમારએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ. સી.ડી.ગાંભવા બનાવના સ્થળે, અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.