![]()
Shashi Tharoor Slams US Tariffs on India: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધારાના ટેરિફને અન્યાયી ગણાવ્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આપણે રશિયા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો, કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યા છે, એટલે આપણા પર વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. ભારત સરકારે આનો જવાબ આપવો જોઈએ. જો તે આવું કરે છે તો આપણે પણ અમેરિકા પર 50% ટેરિફ લાદવો જોઈએ.’
ભારતને આ રીતે કોઈ ધમકી આપી શકે નહીં: શશિ થરૂર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ 25%થી વધારીને 50% કરવાની જાહેરાત અંગે શશિ થરૂરે કહ્યું કે, ‘ભારત કરતા ચીન બમણું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, છતાં તેને બમણો સમય આપવામાં આવ્યો છે. ભારત સરકારે આનો જવાબ આપવો જોઈએ. જો તેઓ આવું કરે છે તો આપણે પણ અમેરિકાના નિકાસ પર 50% ટેરિફ લાદવો જોઈએ. કોઈ પણ દેશમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ આપણે આ રીતે ધમકી આપી શકે નહીં.’
ભારત અને અમેરિકાના સંબંધો વિશે શશિ થરૂરે કહ્યું કે ‘અમેરિકાની વસ્તુઓ પર ભારતનો સરેરાશ ટેરિફ 17 ટકા છે. આપણે 17 ટકા પર કેમ રોકાઈએ? આપણે તેને વધારીને 50 ટકા પણ કરી દેવો જોઈએ. તેને (અમેરિકા) પૂછવું જોઈએ કે શું તે આપણા સંબંધોને મહત્વ નથી આપતા? જો ભારત તેમના માટે મહત્ત્વનું નથી, તો આપણા માટે પણ કોઈ મહત્ત્વ નથી.’
આ પણ વાંચો: અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
‘અમેરિકા સાથેના વેપાર પર અસર પડશે’
અગાઉ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે ‘અમેરિકા દ્વારા વધારાના ટેરિફ લાદવાથી ભારતીય કંપનીઓના વેપાર પર અસર પડશે. ભારત અમેરિકા સાથે 90 અબજ ડોલરનો વેપાર કરે છે, જરા કલ્પના કરો કે જો દરેક વસ્તુ 50 ટકા મોંઘી થઈ જાય, તો ખરીદદારો પણ વિચારશે કે તે ભારતીય વસ્તુઓ કેમ ખરીદી રહ્યા છે.’
ભારતે ટ્રમ્પના ટેરિફ પર આપી પ્રતિક્રિયા
ભારતે અમેરિકન નિર્ણયની આકરી નિંદા કરતા તેને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો સામે છે. અમારા ક્રૂડ ઓઈલની આયાત બજાર આધારિત છે અને અમારો હેતું 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવાની છે. ભારતે આ ત્યારે પણ કહ્યું કે, દુનિયાના અનેક દેશ આ પ્રકારના નિર્ણય પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લે છે. એવામાં ફક્ત ભારતને નિશાનો બનાવવો અયોગ્ય, અન્યાયી અને પાયાવિહોણા છે. સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.’










