AMC Lok Darbar: ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરાવવા ઈમ્પેકટ ફીનો કાયદો રાજય સરકારે અમલમાં મુકયો છે.અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા મ્યુનિ.તંત્રને મળેલી અરજીઓ પૈકી 11,599 અરજીઓ પેન્ડિંગ છે. પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે મ્યુનિ.ભાજપના નેતાઓને જાણ કર્યા વિના જ તંત્રના અધિકારીઓએ લોકદરબારનું આયોજન કરતા વિવાદ સર્જાયો છે.મ્યુનિ.ભાજપના નેતાઓએ એપ્રિલ મહીનામાં યોજાનારા લોકદરબારને લઈ તેઓ આ તારીખમાં હાજર નથી એમ તંત્રના અધિકારીઓને કહી દીધુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એપ્રિલ મહીનામાં બે તબકકામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોકદરબારનું આયોજન કરવા જાહેરાત કરી દીધી છે.જે અંતર્ગત પ્રથમ તબકકામાં 7 એપ્રિલ અને બીજા તબકકામાં 21 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી લોકદરબારનું આયોજન કરાયુ છે.
જો કે આ લોકદરબાર યોજવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ એસ્ટેટ વિભાગના કોઈ અધિકારીઓ દ્વારા ભાજપના હોદ્દેદારોથી લઈ એસ્ટેટ કમિટીના ચેરમેનને પણ આ બાબતની જાણ કરવામાં આવી નથી.આમ છતાં બારોબાર લોકદરબાર યોજવા તારીખ જાહેર કરી દેવાતા વિવાદ સર્જાયો છે.
ભાજપના નેતાઓએ અધિકારીઓ દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવી છે એ તારીખોમાં તેઓ હાજર નથી એમ કહેતા હવે લોકદરબાર યોજવા માટે નવેસરથી તારીખ જાહેર કરવામાં આવશે.
એસ્ટેટ કમિટી ચેરમેને કહયુ, એસ્ટેટ વિભાગના એકપણ અધિકારીઓએ લોકદરબાર યોજવા બાબતમાં સંકલન કર્યુ નથી. ગુડા એકટ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુન-2025 જાહેર કરવામાં આવેલી છે.