અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 29 મે સુધીનું જાહેરનામું : સંવેદનશીલ દરિયાઇ જળ સીમા હોવાના કારણે આતંકવાદી પ્રવૃત્તિ કે કેફી દ્રવ્યોની હેરાફેરી જેવા કૃત્ય થવાની શક્યતાના પગલે સાવચેતી, જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાની ચેતવણી
ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે, જ્યાં 24 ટાપુઓ આવેલા છે. બે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે, જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય 21 ટાપુઓ પર પ્રવેશબંધી ફરમાવાઇ છે.
નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધામક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
દ્વારકા જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૩૧/૩/૨૦૨૫થી તા.૨૯/૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, અને તેન ભંગ કરનાર સામે કાનુની પગલાની ચેતવણી અપાઇ છે.
શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસાર જાળવણી થાય એ હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટે કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર શિવરાજપુર બીચ પર ૫ (પાંચ) કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામા નથી મુદત તા.૩૧/૩/૨૦૨૫થી તા. 29-5-2025 સુધી મુકરર કરવામા આવી છે. જાહેર નામાનો ભંગ કરનાર ને યોગ્ય શિક્ષા કરવામાં આવશે.