Vice President Election: દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જગદીપ ધનખડના રાજીનામાં બાદ ભાજપે ઉપરાષ્ટ્રપતિના ચહેરાની શોધ શરૂ કરી છે, જેના માટે એનડીએના પક્ષોની સહમતિ લેવાથી માંડી રાજકીય સમીકરણોને જોડવાના પડકારો ઉભા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની પસંદગી કરશે.
ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામાના કારણે ભાજપ પર પડકારો વધ્યા છે. એક બાજુ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને બીજી બાજુ જાટ સમીકરણ વેર-વિખેર થઈ જવાનું જોખમ. વધુમાં ઉત્તર અને દક્ષિણ રાજકારણમાં સંતુલન જાળવી રાખવાનો પડકાર પણ છે. જેથી હવે જોવાનું રહેશે કે ભાજપ કેવી રીતે જાતિગત, ક્ષેત્રીય અને નરેટીવ સમીકરણ સાધશે?
ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે બેઠક
ભાજપે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી માટે આજે બેઠક બોલાવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા સહિત પક્ષના વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી એનડીએ નેતાઓની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીની જવાબદારી વડાપ્રધાન મોદી અને જેપી નડ્ડાના શિરે સોંપવામાં આવી હતી. સુત્રો અનુસાર, ભાજપે સંભવિત ઉમેદવારોની યાદી શોર્ટલિસ્ટ કરી છે. જેની જાહેરાત પીએમ મોદી અને જેપી નડ્ડા કરશે.
ભાજપ કેવી રીતે બનાવશે રાજકીય સંતુલન
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મારફત ભાજપ કેવી રીતે રાજકીય સંતુલન બનાવશે, સૌ કોઈની નજર તેના પર છે. એકબાજુ ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સંઘ સાથે સહમતિ બનાવવા અસમર્થ બન્યું છે. આરએસએસ સરકારના કામકાજમાં વધુ દખલગીરી કરવા માગતુ નથી. પરંતુ તેનું માનવુ છે કે, સર્વોચ્ચ પદ પર બિરાજમાન લોકો પક્ષ અને તેની વિચારધારા પ્રત્યે સમર્પિત રહે.
આ પણ વાંચોઃ સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર
પસંદગી માટે આ પાસા ધ્યાનમાં રાખશે
ભાજપ ઉપરાષ્ટ્રપતિ માટે એવા ઉમેદવારની પસંદગી કરશે, જેની પાસે સંસદીય અનુભવ, સંયમિત ભાષણ કલા, અને નિષ્પક્ષ છબિ હોય. ભાજપ એવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે, તે સહયોગી પક્ષોની સાથે સાથે અમુક વિપક્ષોને પણ સ્વીકાર્ય હોય. સવર્ણોથી માંડી ઓબીસીના નામોની અટકળો વહેતી થઈ છે. ભાજપ બિહાર ચૂંટણી માટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે બિહારમાંથી કોઈ નેતા પર દાંવ રમી શકે છે.
જાટ સમાજની નારાજગી કેવી રીતે દૂર કરશે
દેશના ટોચના બંધારણીય પદ માટે ધનખડના રાજીનામાં બાદ જાટ રાજકારણમાં હડકંપ મચ્યો છે. ધનખડ જાટ સમુદાયના છે. તેઓ રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના કિઠાના ગામના રહેવાસી છે. વિપક્ષ ભાજપને જાટ વિરોધી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, હાલ ધનખડના રાજીનામા બાદ ભાજપ પાસે હાલ કોઈ ચહેરો નથી જે જાટ સમુદાયના ટોચના પદનું પ્રતિનિધિત્વ કરી શકે.
દક્ષિણ ભારત સાથે સંતુલન કેળવશે
ઉત્તર ભારતના રાજકારણમાં ભાજપની મજબૂત પકડ છે. પરંતુ દક્ષિણ ભારતમાં હજી પણ રાજકારણનો પરચમ લહેરાવી શકી નથી. દક્ષિણના કોઈપણ રાજ્યમાં ભાજપની સરકાર નથી. આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં ભાજપનો સહયોગી પક્ષ તરીકે સરકારમાં હિસ્સો છે. જેથી ભાજપ માટે દક્ષિણ ભારતમાં રાજકારણને બેલેન્સ કરવુ પડકારરૂપ છે. દક્ષિણ ભારતમાં પોતાનું ખાતુ ખોલવા માટે ભાજપ ઉપરાષ્ટ્રપતિના પદ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાની પસંદગી કરી શકે છે. કેરળ અને તમિલનાડુમાં આગામી વર્ષે 2026માં વિધાનસભા ચૂંટણી છે.











