![]()
જામનગરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અને ઉદ્યોગ નગરમાં બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા એક કારખાનેદારનું ઇલેક્ટ્રિક સ્કુટર સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી કરુણ મૃત્યુ નીપજયું છે. જેને લઇને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હરીશભાઈ છગનભાઈ મૂંગરા નામના 47 વર્ષના કારખાનેદાર, કે જેઓ પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને પોતાના કારખાને જઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં અકસ્માતે તેઓનું ઇલેક્ટ્રીક બાઈક સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાજેશભાઈ છગનભાઈ મૂંગરાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઇ એફ.જી. દલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. કારખાનેદારના અચાનક મૃત્યુને લઈને પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.










