![]()
જેતપુરમાં જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં
સ્ટોલમાંથી ત્રણેક પર્સ ખરીદનાર મહિલા પોતાનું પર્સ ભૂલી ગઈ, જે વેપારીએ નવું સમજીને વેચી નાખ્યું
રાજકોટ: જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલા લોકમેળામાં પર્સના સ્ટોલ ધારકે રૂા.૬ લાખની મત્તા સાથેનું પર્સ રૂા.૧૦૦માં વેચી નાખ્યું હતું. જે દોડધામના અંતે પોલીસે પરત મેળવી મૂળ માલિકને સોંપી આપ્યું હતું.
પોલીસે જણાવ્યું કે જેતપુરના પારેવડી ગામે પિયરેથી એક મહિલા સાસરે જવા માટે જેતપુરના બસ સ્ટેન્ડ આવી હતી. બસ આવવામાં થોડી વાર હોવાથી બસ સ્ટેન્ડ સામેના મેળામાં આટો મારવા ગઈ હતી. જયાં એક સ્ટોલમાંથી ત્રણેક પર્સની ખરીદી કરી હતી. આ વખતે પોતાની પાસે રહેલું રોકડ અને સોનાના દાગીના સાથે ૬ લાખની મત્તા સાથેનું પર્સ સ્ટોલમાં જ ભૂલી ગઈ હતી.
સ્ટોલ ધારકે આ પર્સ નવું સમજી એક ગ્રાહકને રૂા.૧૦૦માં વેચી દીધું હતું. બીજી તરફ જે મહિલાનું પર્સ હતું તેણે આ અંગે જેતપુર સિટી પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવતાં જેતપુરના જાગૃતિનગર પાસેના પટેલનગરમાં રહેતાં તરૂણભાઈ કુમકિયાએ આ પર્સ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. ત્યાર પછી આ પર્સ પોલીસે મૂળ માલિક અજયભાઈ વાળા (રહે. બરવાળા (બાવીસી), તા.કુંકાવાવ)ને સોંપી આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લોકમેળામાં પોલીસ ખાસ કરીને મહિલાઓને કિંમતી માલમત્તા સાથેના પર્સ નહીં લઈ આવવા માટે અનુરોધ કરતી હોય છે. આમ છતાં આ કિસ્સામાં ૬ લાખ જેવી માતબર રકમની મત્તા સાથેનું પર્સ લઈ મહિલા લોકમેળામાં પહોંચી હતી. જેને કારણે પોલીસને દોડધામ થઈ પડી હતી.










