![]()
PM Viksit Bharat Rozgar Yojana : કેન્દ્રીય મંત્રી મંડળે પહેલી જુલાઈએ ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ને મંજૂરી આપ્યા બાદ આજે (19 ઓગસ્ટ) યોજનાનું પોર્ટલ લોન્ચ કરી દેવાયું છે. આ યોજના પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારા માટે અનેક ફાયદા લઈને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓને થશે લાભ
યોજના લોન્ચ કરતી વખતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ‘પહેલી ઓગસ્ટથી પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારા આ યોજનાનો લાભ લેવા માટે ઉમંગ એપ (Umang App) પર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને UAN જનરેટ કરવું પડશે. જ્યારે એમ્પ્લૉયર pmvbry.epfindia.gov.in અથવા pmvbry.labour.gov.in પર વન-ટાઈમ રજિસ્ટ્રેશન કરી શકશે. કેન્દ્ર સરકારે યોજના માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાથી ત્રણ કરોડ યુવાઓ માટે રોજગારની તકો ઉભી થશે અને તેઓને સોશિયલ સિક્યોરિટી મળશે.’
યોજના માટે 99446 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી
ઉલ્લેખનીય છે કે, પહેલી જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ને મંજૂરી આપવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 જુલાઈએ કહ્યું હતું કે, ‘આ યોજનાનો લાભ પહેલી ઓગસ્ટ-2025થી 31 જુલાઈ-2027 વચ્ચે નોકરી રખાયેલ યુવાઓને લાગુ પડશે. યોજના માટે 99446 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ
યોજના હેઠળ કેટલો ફાયદો થશે?
‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ બે પાર્ટ નિર્ધારિત કરાયા છે. પ્રથમવાર રોજગારી મેળવનાર યુવાઓને પાર્ટ-એમાં જ્યારે નોકરીદાતાઓનો પાર્ટ-બીમાં સમાવેશ કરાયો છે.
પાર્ટ-એ હેઠળ EPFOમાં પ્રથમવાર રજિસ્ટ્રેશન કરાવનાર કર્મચારીઓને એક મહિનાનો ઈપીએફ પગાર આપવામાં આવશે, જે વધુમાં વધુ 15,000 રૂપિયા હોઈ શકે છે. આ પગારને વર્ષમાં બે ભાગમાં આપવામાં આવશે. નોકરીના છ મહિના પૂરા કરવા પર 7500 રૂપિયા અને એક વર્ષ પૂર્ણ થયા બાદ બાકીના 7500 રૂપિયા મળશે. એક લાખ રૂપિયા સુધીનો પગાર મેળવનાર કર્મચારીઓ જ આ યોજના માટે પાત્ર રહેશે. આ ઉપરાંત પ્રોત્સાહન રકમનો એક ભાગ બચત સાધન અથવા જમા ખાતામાં નિશ્ચિત સમયગાળા માટે રાખવામાં આવશે અને કર્મચારી તેને પછીથી ઉપાડી શકશે.
પાર્ટ-બીમાં સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. યોજના હેઠળ રોજગાર આપનારા નોકરીદાતાઓને સતત છ મહિના સુધી પ્રત્યેક રોજગાર દીઠ દર મહિને 3000 રૂપિયા અપાશે. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેની પ્રોત્સાહક રકમને ત્રીજા અને ચોથા વર્ષ સુધી વધારવામાં આવશે. એટલે કે આ સેક્ટરને વર્ષ 2029 સુધી લાભ મળશે. ઈપીએફઓ સાથે નોંધાયેલા એકમોએ સતત છ મહિના માટે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (50થી ઓછા કર્મચારીઓવાળા નોકરીદાતાઓ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓવાળા નોકરીદાતાઓ માટે)ને નોકરી પર રાખવા જરૂરી રહેશે.
આ પણ વાંચો : કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી










