![]()
વડોદરા,સલાટવાડા વિસ્તારમાં આવેલી શારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ ક્લાસમાં ભણતી વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા હોઠ પર ઇજા થઇ હતી. વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા આવ્યા હતા.આવા બનાવોને અટકાવવા માટે તંત્ર દ્વારા કોઇ જ અસરકારક પગલા લેવામાં આવતા નથી.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીની સાથે ભણતા વિદ્યાર્થી દ્વારા હત્યાની ચકચારી ઘટના પછી પણ તંત્ર હજી અસરકારક પગલા લેતું નથી. જેના પરિણામે હજી મારામારી અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે. સલાટવાડા વિસ્તારમાં આવેલી શારદા મંદિર સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે એવી કેફિયત જણાવી હતી કે, તેના જ ક્લાસની એક વિદ્યાર્થિનીએ મને છૂટ્ટું ડસ્ટર માર્યુ હતું. આ અંગે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો તેના મિત્રો સાથે ઉભો હતો. તે દરમિયાન હુમલો કરનાર વિદ્યાર્થિનીએ તેને ગાંડો કહીને બોલાવતા મારો દીકરો ઉશ્કેરાયો હતો અને તેણે વિદ્યાર્થિનીની ઠપકો આપ્યો હતો.ત્યારબાદ ઉશ્કેરાયેલી વિદ્યાર્થિનીએ ડસ્ટર માર્યુ હતું. મારા દીકરાને હોઠ પર ચાર ટાંકા આવ્યા છે. આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ,સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીને સમજાવતા ફરિયાદ થઇ નહતી.
અઠવાડિયામાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાની ત્રીજી ઘટના
વડોદરા,
એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાની બની છે. જેમાં ગયા અઠવાડિયે આજવા રોડની પોદ્દાર સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા એક વિદ્યાર્થીએ નખ મારી દીધા હતા. જે ઘટનામાં વિદ્યાર્થીએ ચપ્પુ બતાવ્યું હોવાની વાત પણ વહેતી થઇ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ગઇકાલે માંડવી ચિત્તેખાનની ગલીમાં આવેલી ઓ.એલ. પંડયા પ્રાથમિક શાળામાં પણ સ્કૂલ છૂટવાના સમયે ઠઠ્ઠા મશ્કરીના પગલે વાલીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.
વિદ્યાર્થિની પાસે ડસ્ટર કઇ રીતે આવ્યું ?
વડોદરા,
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ પણ શાળાના સ્ટાફની બેદરકારીએ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની પાસે કઇ રીતે ડસ્ટર આવ્યું ? શિક્ષક ક્લાસ રૃમમાં ડસ્ટર મૂકીને જતા રહ્યા હતા. અથવા તો વિદ્યાર્થિની કઇ રીતે ડસ્ટર આવ્યું તે અંગે પણ તપાસ થવી જોઇએ. આ ઘટના અંગે સ્કૂલના પ્રિન્સીપાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે ફોન રિસિવ કર્યો નહતો.










