![]()
વડોદરાઃ આવતીકાલે ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળતાં શહેર પોલીસે જંગી કાફલો ખડકી દીધો છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
દસ દિવસનું આતિથ્ય માણવા આવતા ભગવાન ગણેશજીને સત્કારવા ઘરોમાં, શેરીઓમાં અને સોસાયટીઓમાં શણગાર તેમજ પંડાલો ઉભા કરીને તૈયારી કરવામાં આવી છે.શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે અને વડોદરાનો પ્રિય ઉત્સવ શાંતિથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ગણેશોત્સવને અનુલક્ષીને ૨૫૦૦ થી વધુ પોલીસ જવાનો ઉપરાંત અધિકારીઓ અને ડીસીબી,પીસીબી,એસઓજી સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.કોઇ પણ અનિચ્છનિય ઘટના બને તો મિનિટોમાં જ પોલીસ પહોંચી જાય તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમો પણ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત કોર્પોરેશનના ૧હજારથી વધુ કેમેરા,પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના ૫૫૦ કેમેરા અને ૭૫૦ બોડીવોર્ન કેમેરા પણ પોલીસ માટે મદદરૃપ થશે.પોલીસ ખાનગી કેમેરાઓનો પણ ઉપયોગ કરનાર છે તેમજ ડ્રોન કેમેરા મારફતે ધાબાઓ પર પણ નજર રાખશે.










