![]()
Surat Ganeshotsav 2025 : સુરતમાં આજથી દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થયો છે અને શહેરમાં 80 હજાર કરતાં વધુ પ્રતિમાની સ્થાપના થઈ હોવાથી કર્મકાંડ કરનારા બ્રાહ્મણ વીઆઈપી બની ગયા છે. મોટાભાગના બ્રાહ્મણ પાસે એક કરતાં વધુ સ્થાપના હોવાથી સ્થાપના કરનાવાનરાઓએ એપોઈમેન્ટ લઈને પૂજા વિધિ કરાવવી પડી રહી છે. અનેક જગ્યાએ તો સમય આપ્યો હોવા છતાં પૂજા કરનાર બ્રાહ્મણ ન આવ્યા હોવાથી કલાકો સુધી રાહ જોવી પડી હતી.
ઉત્સવ પ્રિય સુરત શહેરમાં આ વર્ષે પણ નાની મોટી 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિમાની સંખ્યા સામે કર્મકાંડ કરાવી પૂજા કરાવનારા બ્રાહ્મણ ની સંખ્યા મર્યાદિત છે. આ ઉપરાંત કેટલાક આયોજકો દર વર્ષે જેમની પાસે પૂજા કરાવતા હોય તે બ્રાહ્મણ જ આગ્રહ રાખે છે. જેના કારણે ગણેશોત્સવમાં બ્રાહ્મણની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે અને તે અચાનક વીઆઈપી બની ગયાં છે.
સુરતમાં પૂજા કરનારા અનેક બ્રાહ્મણ એવા છે તેમની પાસે અનેક જગ્યાએ ગણપતિજીની સ્થાપના કરાવવાની હોય છે. જેના કારણે આવા બ્રાહ્મણોએ તો સવારે 5.30 વાગ્યાથી જ સ્થાપના કરાવવાનું શરૂ કરી દીધું હતું. ઘણા મંડળોમાં નિર્ધારિત સમય બાદ પણ બ્રાહ્મણ ન આવતા ભક્તો રાહ જોવી પડી છે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં વિલંબ થવાને કારણે કેટલાક સ્થળોએ સ્થાપન મોડું થયું હતું. તેમ છતાં, ભક્તો ઉમંગ અને શ્રદ્ધા ભાવે બાપ્પાની સ્થાપનામાં જોડાયા હતા.
ઘરે સ્થાપના કરનારા અનેકે તો જાતે જ પૂજા કરી દીધી
સુરતમાં આજથી ગણેશોત્સવ શરુ થયો છે અને બ્રાહ્મણોની ડીમાન્ડ અચાનક વધી ગઈ છે. અનેક લોકોએ પોતાના ઘરમાં જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે. ઘરે સ્થાપના કરનારા અનેક લોકોને પૂજા કરનાર બ્રાહ્મણનો સમય મળ્યો ન હોવાના પણ અનેક કિસ્સા છે. જેના કારણે કેટલાક લોકો વડીલો પાસે સમજીને તો કેટલાક લોકોએ યુ ટ્યુબ પર પૂજા વિધી જોઈને ગણેશજીની સ્થાપના કરી હતી.
ગણેશ ઉત્સવ દરમિયાન એક દિવસ કથા માટે પણ બ્રાહ્મણોનું બુકીંગ
સુરત શહેરમાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે અને તેની સાથે કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક દિવસ સત્યનારાયણની કથાનું પણ આયોજન થાય છે. આ કથા માટે પણ હાલ બ્રાહ્મણ મળતા ન હોવાથી કથા માટે પણ લોકો બ્રાહ્મણનું બુકિંગ કરાવી રહ્યાં છે.










