અમદાવાદ,મંગળવાર,2 સપ્ટેમબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.તથા શારદાબહેન
હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીને લઈ ૧૮ હજારથી વધુ લોકોએ આઉટડોર
પેશન્ટ તરીકે સારવાર લીધી છે. શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષમાં કાનમાં ઓછુ
સંભળાવાની ફરિયાદથી લઈ બહેરાશ સુધીની ફરિયાદ સંદર્ભમાં કુલ ૩૫૯ ઓપરેશન ઓગસ્ટ-૨૫
અંત સુધીમા કરવામા આવ્યા હતા
છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં વિવિધ પ્રસંગોએ ડી.જે.અને
સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજ સાથે રોડ ઉપર અને અન્ય સ્થળે વગાડવામા આવી રહયા છે.જેને
લઈને કાનમાં ઓછુ સંભળાવવુ,
ધાક પડવી વગેરે જેવી સંબંધિત બિમારીના કેસ પણ વધી રહયા છે.એલ.જી.હોસ્પિટલ ખાતે
વર્ષ-૨૦૨૪મા કાન સંબંધિત બિમારીનુ નિદાન અને સારવાર કરવા ૫૭૨૬ લોકોએ આઉટડોર પેશન્ટ
તરીકે સારવાર લીધી હતી. આ વર્ષે ઓગસ્ટ-૨૫ સુધીમાં ૫૭૧૧ દર્દીઓએ સારવાર લીધી છે.
શારદાબહેન હોસ્પિટલ ખાતે બે વર્ષના સમયમાં કુલ ૭૦૫૦ દર્દીઓએ આઉટડોર પેશન્ટ તરીકે
સારવાર મેળવી છે.નોંધપાત્ર બાબત એ છે કે,
શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષમાં ૩૫૯ દર્દીઓને કાનની બિમારી સંદર્ભમાં ઓપરેશન
કરવામાં આવ્યા હતા.
ત્રણ પ્રકારના ટેસ્ટ પછી દર્દીનુ ઓપરેશન કરાય છે
કાન સંબંધિત ઓપરેશન કરતા અગાઉ ત્રણ પ્રકારના અલગ અલગ
ટેસ્ટ દર્દીઓની બિમારી સંદર્ભમાં કરવામા
આવે છે. પ્યોર ટોન ઓડિમેટ્રી ટેસ્ટ શ્રવણ શકિતને થયેલ નુકસાન અને તેના સંભવિત કારણ
દર્શાવે છે. બ્રેઈન સ્ટેમ ઈવોકડ રીસ્પોન્સ ઓડિમેટ્રી ટેસ્ટથી દર્દીને બરોબર સંભળાય છે કે પછી અવાજ કાન સુધી
પહોંચતો નથી જેવી બાબત ચકાસવા કરાય છે. ઓટો ઓકોસ્ટિક એમિસન્સ ટેસ્ટ શ્રવણ શકિત,નસમાં આવેલી
બહેરાશ દર્શાવી શકે છે.










