![]()
Real Estate: સરકાર ટૂંક સમયમાં એક ડિજિટલ ડેટાબેઝ શરૂ કરવા જઈ રહી છે, જેમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિશે માહિતી હશે. આ પગલું ઘર ખરીદનારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે, આની મદદથી છેતરપિંડીથી બચવા અને યોગ્ય પ્રોજેક્ટને પસંદ કરવામાં મદદ મળશે. આ ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે, અપ્રૂવલ, કન્સ્ટ્રક્શનની પ્રગતિ અને બિલ્ડરોની વિશ્વસનીયતા જેવી વિગતો સામેલ હશે.
પોર્ટલનો હેતુ
આ પોર્ટલ દ્વારા, લોકો હવે દેશભરના કોઈપણ બિલ્ડરના પ્રોજેક્ટ અને તેની વર્તમાન સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ પગલું ખાસ કરીને એવા ઘર ખરીદદારો માટે મોટી રાહત છે જેઓ RERA કાયદાના અસ્તિત્વ છતાં પ્રોજેક્ટમાં વિલંબ અને છેતરપિંડીનો ભોગ બન્યા છે.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો
કેમ લેવાયો નિર્ણય?
ઘર ખરીદનારાઓની ફરિયાદો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં RERA અને રાજ્ય અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જોકે, તેના થોડા અઠવાડિયા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને બિલ્ડરોની મનમાની અને ગ્રાહકોની ફરિયાદોના યોગ્ય નિરાકરણના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે RERA સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલ (CAC)ની બેઠકમાં આ નવું પોર્ટલ લોન્ચ કર્યું. આ ડેટાબેઝનો મુખ્ય હેતુ સંભવિત ખરીદદારોને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ સમજી-વિચારીને નિર્ણય લઈ શકે.
મહારાષ્ટ્રના કાયદા પર વિવાદ
આ બેઠકમાં બીજો એક મહત્ત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઘર ખરીદનારાઓના પ્રતિનિધિઓએ મહારાષ્ટ્ર સરકારની હાઉસિંગ પોલિસી 2025નો સખત વિરોધ કર્યો હતો. આ નીતિ હેઠળ, મહારાષ્ટ્ર સરકાર પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ માટે RERA જેવો અલગ કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. આ જ કારણ છે કે, ફોરમ ફોર પીપલ્સ કલેક્ટિવ એફર્ટ્સ (FPCE)ના અભય ઉપાધ્યાયે આ પગલાને રોકવા માટે કેન્દ્ર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. કારણ કે, આ પગલાથી RERAનું એકસમાન માળખું નબળું પડશે અને આનાથી બિલ્ડરોને ‘ફોરમ શોપિંગ’ કરવાની એટલે કે તેમના ફાયદા અનુસાર કાયદો પસંદ કરવાની તક મળશે. ત્યાર બાદ અન્ય રાજ્યો પણ આવા અલગ અલગ કાયદા બનાવશે, જેનાથી સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મૂંઝવણ ફેલાશે. પશ્ચિમ બંગાળના કેસમાં સુપ્રીમ કોર્ટે આવા એક કાયદાને પહેલાથી જ રદ કરી દીધો હતો, જેને FPCE દ્વારા પડકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ
‘નેક્સ્ટ-જેન’ સુધારો પર મૂક્યો ભાર
આવાસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કાઉન્સિલે RERAને વધુ મજબૂત બનાવવા માટે અનેક સૂચનો આપ્યા હતા. જેમાં RERAના આદેશોનો કડક અમલ અને ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે. આ સાથે, RERAમાં નોંધણી ઝડપી બનાવવા, આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા અને વ્યાખ્યાઓમાં સ્પષ્ટતા લાવવા જેવા પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે RERAના આઠ વર્ષ પૂર્ણ થયા પછી, હવે ‘નેક્સ્ટ જનરેશન’ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એટલું જ નહીં, મંત્રાલય હવે RERA ને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી પગલાં પર કામ કરશે.










