![]()
– વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
– અંતિમયાત્રા કાદવમાંથી કાઢવા ડાઘૂઓ મજબૂર : વીડિયો વાયરલ કરી રોષ ઠાલવી વિરોધ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં આવેલા રાવળદેવ સમાજના સ્મશાન સુધીના બિસ્માર અને ઉબડ-ખાબડ રસ્તાના કારણે અંતિમ યાત્રા કાઢવામાં હાલાકી ભોગવવાનો પરિવારજનોને વારો આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરના અમુક વિસ્તારમાં મન૫ તંત્ર દ્વારા રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જોરાવરનગર ભોગાવો નદીનાં કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી રાવળદેવ સમાજનું સ્મશાન આવેલ છે જ્યાં આ સમાજના લોકો મૃત્યુ બાદ અંતિમ વિધિ કરે છે પરંતુ સ્મશાન તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડ-ખાબડ હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જેમાં તાજેતરમાં રાવળદેવ સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનો સહિત ડાઘુઓને સ્મશાન તરફના કાદવ અને કીચડ ભરેલ રસ્તા પરથી અંતિમ યાત્રા કાઢવાનો વારો આવ્યો હતો. સ્મશાનના બિસ્માર રસ્તા અંગે સમાજના આગેવાનો સહિતનાઓએ અનેક વખત તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક આ રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જ્યારે મૃતકના પરિવારજનો અને સગા-સબંધીઓએ અંતિમ યાત્રા કાઢવામાં બિસ્માર રસ્તાના કારણે પડેલ હાલાકીનો વિડિયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.









