![]()
Gandhinagar News : ગુજરાત વિધાનસભાના 7માં સત્રના અંતિમ દિવસે આરોગ્ય મંત્રીએ આજે (10 સપ્ટેમ્બર) વિધાનસભા ગૃહમાં ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન દ્વિતીય સુધારા વિધેયક -2025 રજૂ કર્યુ હતું. ત્યારે આરોગ્ય સંબંધિત બંને બિલ ગૃહમાંથી પસાર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય સાત માસ એટલે આગામી 30 એપ્રિલ, 2026 સુધી વધારવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કરવામાં આવ્યું છે.
ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ સુધારા વિધેયક રજૂ કરાયું
વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રીએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ સુધારા વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ ગુજરાતમાં આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે પ્રબંધ કરવાનો છે. ગુજરાતમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા માટે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963 હેઠળ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન, ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. આ કાયદાની કલમ-30 હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુનો બને છે.
ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -2025 વિધેયક પણ રજૂ કરાયો છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કઈ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા-કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે, તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2025’ બિલ ગૃહમાં પસાર
હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2021 અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ 12 સપ્ટેમ્બર, 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટિફિકેશન દ્વારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય 7 માસ એટલે કે 30 એપ્રિલ, 2026 સુધી વધારવામાં આવ્યો.










