અમદાવાદ,મંગળવાર,16 સપ્ટેમબર,2025
એ.એમ.ટી.એસ.તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની
બેદરકારીના કારણે મંગળવારે સવારના સુમારે નવાવાડજ ખાતે આવેલા શ્રીનાથ ડેપોની
જર્જરીત દિવાલ ધરાશાયી થતા યુવકનું મોત નિપજયુ હતુ.ઘટના સ્થળે ભારે રકઝકના અંતે
મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સ્થાનિક કોર્પોરેટર અને લોકોએ ત્રણ
મહીનામાં ત્રણ વખત ડેપોની જર્જરીત દિવાલ દૂર કરવા સંબંધી કરેલી રજૂઆતને પણ તંત્રે
ગંભીરતાથી લીધી નહતી.
મંગળવારે સવારે ૬.૧૫ કલાકના સુમારે નવાવાડજ જવાહરનગરના
છાપરાં પાસે આવેલા એ.એમ.ટી.એસ.ના શ્રીનાથ ડેપો ખાતે રોડસાઈડની કમ્પાઉન્ડ વોલ એકાએક
ધરાશાયી થતાં પિયુષ ભરવાડ નામના યુવકનું દિવાલના કાટમાળ નીચે દટાઈ જતાં આસપાસના
રહીશો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગની રેસ્કયૂ
ટીમને જાણ કરાતા ફાયર વિભાગ દ્વારા કાટમાળ નીચે દટાયેલા યુવકને મૃત હાલતમાં બહાર
કઢાયો હતો.
નોંધપાત્ર બાબત એ હતી કે, સ્થાનિક કોર્પોરેટર વિજય પંચાલને કોઈ વ્યકિતએ સવારના ૮
કલાકે જાણ કરતા તરત જ તેમણે ફાયર અને પોલીસ વિભાગને જાણ કરી હતી. જયારે
એ.એમ.ટી.એસ.ના ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેનુ કહેવુ હતુ કે, ઘટના સવારે
૬.૧૫થી ૬.૩૦ કલાક દરમિયાન બની હતી. એ.એમ.ટી.એસ.ના
અધિકારીને ઘટના સવારના ૬.૧૫થી ૬.૩૦ કલાક વચ્ચે બની હોવાની જાણ હોવા છતાં કયા
કારણથી ફાયર કે પોલીસ વિભાગને જાણ કરવામા ના આવી તે બાબત ચર્ચાનો વિષય બની હતી.
સ્થાનિક કોર્પોરેટર જાણ કરે છે એ પછી ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચે છે.
એ એ.એમ.ટી.એસ.ના
અધિકારીઓની બેદરકારી જ કહી શકાય.લગભગ એક કલાકથી વધુ સમયની રકઝકના અંતે મૃતકના
મૃતદેહનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો.
બ્રશ કરતા યુવક ઉપર દિવાલ પડી
નવાવાડજના શ્રીનાથ ડેપો ખાતે જર્જરીત દિવાલ ધરાશાયી થવાની
ઘટનાને પગલે સ્થાનિકોના કહેવા મુજબ,
સવારના સમયે આ યુવક બ્રશ કરતો હતો તે સમયે તેના ઉપર જર્જરીત દિવાલ ધરાશાયી થઈ
હતી.
કોર્પોરેશનના અધિકારીઓ સામાન્ય લોકોની રજૂઆત ગણકારતા જ નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામાન્ય લોકોની
રજૂઆતને ગણકારતા જ નથી.તેનુ વધુ એક ઉદાહરણ મંગળવારની ઘટનામા સામે આવી
હતી.એ.એમ.ટી.એસ. અને પશ્ચિમ ઝોનના
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો હવાલો
અમૃતેશ ઔરંગાબાદકર પાસે જ છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, ત્રણ મહીનામાં
શ્રીનાથ ડેપોની જર્જરીત દિવાલ સંદર્ભમાં ત્રણ વખત લેખિત રજૂઆત કરાઈ હોવાછતાં કોઈ
પ્રકારની કાર્યવાહી કોર્પોરેશને કરી નથી.










