Devayat Khavad: સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂરા થયા છે. બુધવારે (17 સપ્ટેમ્બર) રિમાન્ડ પૂરા થતા તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે કોર્ટે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ વધાર્યા નથી અને જામીન અરજી પણ ફગાવી દીધી છે. તેથી હવે આ તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા છે.
આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
રિમાન્ડ પૂરા થયા બાદ તાલાલા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ વધારવા માટે કોઈ રજૂઆત કરવામાં આવી નહતી. પરંતુ દેવાયત ખવડ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે હાલ આ જામીન અરજી નકારી આરોપીઓને જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લીધો છે. હવે આ મામલે ગુરૂવારે (18 સપ્ટેમ્બર) સેશન્સ કોર્ટમાં ખવડની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતનો ઝોળીદાર વિકાસ, છોટા ઉદેપુરમાં પ્રસુતાને 3 કિ.મી. ઊંચકી લઈ જવાઈ, અંતે કરુણ મોત
કોર્ટે રદ કરી જામીન અરજી
નોંધનીય છે કે, તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. સમગ્ર કેસ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ બુધવારે (17 સપ્ટેમ્બર) પૂરા થયા બાદ તમામ આરોપીને જૂનાગઢ જેલમાં મોકલાયા છે.
શું હતી ઘટના?
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મન-દુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.
આ પણ વાંચોઃ દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો
ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, તે હતો ત્યારે કોઈ અન્ય શખસે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગીરમાં ન આવવા ચેતવણી આપી હતી. જોકે, આ ધમકીને તેણે ગંભીરતાથી લીધી ન હતી. વધુમાં ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે, ‘દેવાયત ખવડ અને તેના માણસોએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ આવ્યા હતા. રિસોર્ટમાંથી મને શોધતા દેવાયત ખવડ અને તેના માણસો શોધતા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. આવી રીતે પાછળથી હુમલો કરશે એવો તો ખ્યાલ જ ન હતો.’