![]()
Vadodara Temple Theft Case : વડોદરા જિલ્લામાં મંદિરમાં ચોરી કરતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. કરજણ નેશનલ હાઈવે પર આવેલા એક જૈન મંદિરમાંથી બે દાન પેટી તોડીને અંદરથી રોકડ રૂપિયા 70 હજારની મંદિર ચોરોએ ચોરી કરી હતી.
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં દર્શનમ ઉપવન ખાતે રહેતા નરેશ મુકેશભાઈ જૈને કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં લોખંડના ભંગારનો વેપાર કરું છું. અમારા શેડની બાજુમાં શાંતિનાથ દિગંબર જૈન મંદિર આવેલું છે જેના ટ્રસ્ટી મારા પિતા છે અને હું કાર્યાલયમાં મંત્રી તરીકે સેવા આપું છું.
તારીખ 24 ફેબ્રુઆરીના રોજ મંદિરમાં સેવા પૂજા કરતા રાજમની દિનેશભાઈ જૈને મને ફોન કરીને જણાવેલ કે મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાય છે જેથી તમો અહીં આવી જાઓ. બાદમાં હું અને પરિવારના સભ્યો કંડારી મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરનું મુખ્ય તાળું તૂટેલું હતું તેમજ દરવાજો ખુલ્લો હતો અને બે દાન પેટી ખુલ્લી જણાયેલ. આ દાન પેટીમાંથી પરચુરણ છૂટું છવાયું પડેલું હતું તેમજ ચલણી નોટો ગાયબ હતી. આ અંગે મંદિરના પૂજારીએ જણાવેલ કે આશરે રૂપિયા 70 હજારની દાનમાં આવેલી રોકડ ચોરી થઈ છે. આ ઘટના બાદ મુખ્ય આચાર્ય સાથે વાત થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વડોદરા નજીક આવેલા યાત્રાધામ પોર ખાતેના બળીયાદેવ મંદિરમાં તેમજ ભાયલી ખાતેના શનિદેવ મંદિરમાં પણ ચોરી થઈ હતી.










