જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન પેટીમાંથી પરચુરણ રકમની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને વેપાર કરતાં તેમજ ગામના નદીના સામા કાંઠે આવેલા મહાદેવ મંદિર અને સુરાપુરા દાદા ના મંદિરમાં સેવા પૂજા આપતા લલિતગીરી રતીગીરી અપારનાથી એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે તેઓના સુરાપુરા દાદા ના મંદિર તથા મહાદેવના મંદિરને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું છે.
ગત 9 તારીખે રાત્રિ દરમિયાન તસકરો મંદિરમાં પ્રવેશ્યા હતા, અને મંદિરના દરવાજાના તાળા તોડી નિજ મંદિરમાં રાખવામાં આવેલી જુદી જુદી બે દાન પેટીઓ માંથી આશરે રૂપિયા 3,000ના પરચુરણની ચોરી કરી લઈ ગયા નું જાહેર કર્યું હતું.
જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એમ. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા. અને ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.