India-Pakistan Airspace Ban: ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. પડોશી દેશના લશ્કરી તથા નાગરિક વિમાનો 24મી ઑક્ટોબર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે.
ભારતે નોટિસ ટુ એર મિશન જાહેર કર્યું
અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાને એરમેનને અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) જાહેર કર્યું છે, જેમાં એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા મંગળવારે (23મી સપ્ટેમ્બર) જાહેર કરાયેલા આદેશ અનુસાર, કોઈપણ પાકિસ્તાની-રજિસ્ટર્ડ વિમાન, જેમાં લશ્કરી વિમાનનો સમાવેશ થાય છે, અથવા પાકિસ્તાની એરલાઇન્સ દ્વારા ખરીદેલ અથવા ભાડે લીધેલા વિમાનનો સમાવેશ થાય છે, તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
NOTAM અનુસાર, ભારતીય હવાઈ ક્ષેત્ર 23મી ઑક્ટોબરના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી તમામ પાકિસ્તાની વિમાનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ પણ વાંચો: કોલકાતામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ગાડીઓ તણાઈ, ટ્રેન-મેટ્રો-વિમાન સેવા ખોરવાઇ, 7ના મોત
30મી એપ્રિલથી એરસ્પેસ બંધ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ આદેશ 30મી એપ્રિલથી અમલમાં આવ્યો હતો. ત્યારથી આ સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે.