![]()
લગ્નના આઠ વર્ષ બાદ પ્રેમિકા સાથે લગ્ન કરવા શારીરિક અને માનસિક ત્રાસના આક્ષેપ સાથે પરણીતાએ પતિ, પ્રેમિકા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
મૂળ જંબુસરમાં રહેતી અને હાલ ભરૂચની રહેવાસી 32 વર્ષીય મુસ્કાન (નામ બદલ્યું છે) એ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2015માં મારા લગ્ન મુસ્તકીમ અબ્બાસ સખીદાસ (રહે- કાવી ગામ, જંબુસર)સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં બે પુત્ર છે. છેલ્લા ત્રણ વર્ષથી મારા પતિને સીમરાના નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અમારી વચ્ચે આ બાબતે અવારનવાર ઝઘડો થતો હતો. મારા પતિને મે સીમરાના સાથે જોઈ જતા આ અંગે સાસુ-સસરાને વાત કરી હતી. અને મારા પતિએ મારી પાસે માફી માંગી હતી. ત્યારબાદ પણ પતિ સુધર્યો ન હતો અને સીમરાના સાથે વિડીયોકોલથી વાતચીત કરતો હતો. મારા નણદોઈ સોકત અબ્દુલ્લાહ ગલાબ મારા પતિને મારી વિરુદ્ધ ચઢામણી કરી પતિને વિદેશ મોકલવા તથા બીજા લગ્ન કરવા માટે સાથ આપે છે. પતિએ મારું બે તોલા સોનું પણ વેચી દીધું છે. સાસુ નઝમા અબ્બાસ સખીદાસ મને “મુસ્તકીમને સીમરાનાને લાવવા દે અને તું પણ રહેજે “તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે પોલીસ સ્ટેશન અરજી આપ્યા બાદ ઘરે પરત જતા સસરા અબ્બાસ ઈબ્રાહીમ સખીદાસએ મને ઘરમાં પ્રવેશ ન આપી ઘરે તાળું મારી દીધું હતું. આ ફરિયાદના આધારે પોલીસે પરિવારના તમામ 5 સભ્યો વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, મારામારી, ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










