(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
ખેડૂતોની આવક બમણી કરવાના સપનાંઓ દેખાડવાનું ગુજરાતની ભાજપ સરકારે બંધ કરી દેવું જોઈએ. કારણ કે ગુજરાતમાં વેપારીનો દીકરો વેપારી બનવા માગે છે, ડોકટરનો દીકરો ડોકટર બનવા માગે છે, રાજકારણીના દીકરા પણ રાજકારણમાં આવવા માગે છે પરંતુ ખેડૂતનો દીકરો ખેડૂત રહેવા માગતો નથી કારણ કે એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નો બતાવ્યા કરે છે. વાસ્તવમાં તેમની આવક બમણી થતી નથી, એમ આજે ગુજરાત વિધાનસભામાં બોલતા વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.
જમીનની માપણી સદંતર ખોટી હોવા છતાંય તેના નિરાકરણ લાવવામાં આવતા ન હોવાની ખેડૂતોની વધી રહેલી ફરિયાદ
બીજી તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, વીજળી મોંઘી, પાણી મોંઘું બધી જ રીતે જે ઉત્પાદનનો ખર્ચ મોંઘો થયો પણ તેના પ્રમાણમાં તેને જે બજારભાવ મળવો જોઇએ તે નહીં મળવાના કારણે આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે.એમ આજે ગુજરાત વિધાનસભામાં સરકાર પર પ્રહાર કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.
એક બાજુ ખેતીની જમીન માપણી થાય, ભાઇ-ભાઇ વચ્ચે ઝઘડા થાય, શેઢા પાડોશી વચ્ચે વિવાદ થાય, અવાર-નવાર રજૂઆત કરવા છતાં ફરિયાદનો નિકાલ ન આવે. આ ફરિયાદોના સંદર્ભમાં આંદોલનો કરવા છતાં આ માગણીઓનો સ્વીકાર કરવામાં આવે નહીં. આવી ખોટી માપણી રદ કરવાની લડત છે. પરંતુ જમીન માલિક ખેડૂતોનો અવાજ સુધી સરકારના બહેરા કાન સુધી પહોંચતો જ નથી. આજે કરોડો રૃપિયા ખર્ચ્યા પછી ખેડૂતોની જમીનની માપણી ખોટી થયેલી છે. ગુજરાતમાં ચોમેર નકલીનું રાજ ચાલે છે. નકલી કચેરીઓ, નકલી જજ તેના બોલતા પુરાવાઓ છે.
વિપક્ષી નેતાએ એવો આરોપ મૂક્યો હતો કે ગુજરાત સરકારનો કોઇ અંકુશ નહીં હોવાના કારણે ચારેય તરફ નકલી બિયારણ વેચાઇ રહ્યું છે, નકલી બિયારણને પકડવા માટે છેક મહારાષ્ટ્રની પોલીસ સાબરકાંઠા સુધી આવે પણ ગુજરાતની પોલીસ, ગુજરાતનું તંત્ર, ગુજરાતનો કૃષિ વિભાગએ નકલી બિયારણને રોકી શકતો નથી, થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી ૭૦ હજાર જેટલી બોરીઓમાં આગ લાગી જેમાં એક ભાજપના જવાબદાર આગેવાન કે જેઓ ઇફ્કો અને ગુજકોમાસોલ જેવી સંસ્થાઓનો વહીવટ કરે છે એમણે જાહેરમાં નિવેદન કર્યું કે કૌભાંડ થયા હોય અથવા કાંઇક છૂપાવવા જેવું હોય તો જ આગ લાગે છે બાકી એમને એમ આગ લાગતી નથી.
તેમણે ગૃહમાં જણાવ્યું હતુ કે કે કદાચ અમે કહેતા હોત તો કહેતા કે કોંગ્રેસ તો વિરોધ કરે છે પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય માણાવદરના અરવિંદભાઇ લાડાણીએ જાહેરમાં કહ્યું કે આ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. મોટા પ્રમાણમાં ખેડૂતોનું શોષણ થાય છે અને આની તપાસ થવી જોઇએ. આ માગણી કોંગ્રેસના ધારાસભ્યએ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કરી છે. આ ઉપરાંત તેમણે વિરમગામમાં થયેલા ડાંગરની ખરીદીમાં કૌભાંડ અને તેમાં મોટા નેતાઓની સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા.
બંધ કરેલી ફસલ બીમા યોજના ચાલુ કરે
તેમણે કહ્યું હતું કે કુદરતી આફતો મુદ્દે સમયસર પેકેજની સહાય મળે, પિયત અને બિન પિયતની સહાય વ્યવસ્થિત આયોજનપૂર્વકનું કામ થાય તે જરૃરી છે. ગુજરાતમાં બંધ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના વિકલ્પે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી ફસલ વીમા યોજના લાગુ કરવી જોઈએ.
પશુપાલકોને પૂરતા ભાવ અપાવો
મોંઘો ઘાસચારો, માવજત, દાણ, દવાઓ મોંઘી થઇ એના કારણે પશુપાલકોને જે દૂધના ભાવ મળે છે એ પુરતા નથી. અન્ય રાજ્ય સરકારો પ્રતિ લિટર સબસિડી આપે છે. ગુજરાતમાં ૩૦ લાખ કરતા વધારે પશુપાલકો છે એમને દૂધમાં પ્રતિ લિટરે ઓછામાં ઓછી રૃ.પ સબસિડી આપવી જોઈએ.